કેન્દ્રીય ગૃહ અને સહકારિતામંત્રી અમિત શાહ બે દિવસની ગુજરાત મુલાકાતે છે. જ્યાં તેમણે અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં વિવિધ વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું અને લોકસંપર્ક કર્યો. ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના ઘાટલોડિયા વોર્ડમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 'એક પેડ મા કે નામ' અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
વૃક્ષો પર્યાવરણ અને વાતાવરણ શુદ્ધિ માટે મહત્વનો ભાગ ભજવે છે.ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ ‘એક પેડ મા કે નામ’ માતાના નામે એક વૃક્ષ વાવવાના સંકલ્પથી શરૂ થયેલ ઘનિષ્ઠ વૃક્ષારોપણ અભિયાનમાં ઘાટલોડિયા વોર્ડમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આયુષ્માન વનમાં આ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે અમદાવાદના મેયર પ્રતિભાબહેન જૈન, ડેપ્યુટી મેયર જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, ધારાસભ્ય બાબુ પટેલ, અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાની સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.