Mahisagar News: મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલ દોલતપુરા ગામમાં ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી, હાઇડ્રો પાવર પ્લાન્ટમાં શ્રમજીવીઓ કામ કરતા હતા ત્યારે અચાનક મહીસાગર નદીનું પાણી અચાનક આવી ચઢતા હાઇડ્રો પાવર પ્લાન્ટમાં કામ કરતા 15 કામદારો પૈકી 5 કામદારો ડૂબ્યા હતા. જે પૈકી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. એનડીઆરએફ તેમજ વડોદરાથી અને અમદાવાદથી આવેલ ફાયર વિભાગની ટીમને ભારે જાહેમત બાદ મૃતદેહ મળ્યો છે. આ દરમિયાન જિલ્લાના ઉચ્ચ અધિકારી સહિત જિલ્લા પોલીસવાળા પણ ખડે પગે છે. જેમનો મૃતદેહ મળી આવ્યો છે, તેમનું નામ નરેશકુમાર લક્ષ્મણભાઈ સોલંકી છે, જેઓ ગોધરાનાં રણછોડપુરાનાં રહેવાસી છે. નરેશભાઈ સોલંકી વાયરમેન તરીકે કામ કરતા હતા, જેમના મૃતદેહને લુણાવાડા સરકારી દવાખાને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે.
આ ઘટનાની ગંભીરતા જોતાં ગાંધીનગરથી NDRFની ટીમ બોલાવવામાં આવી હતી. મોડી રાત્રે 1 વાગ્યા આસપાસ NDRF ની પહોંચી યુવકોની શોધખોળ શરૂ કરી હતી. વહેલી સવારે 5 વાગ્યા સુધી સતત શોધખોળ ચાલી રહી હતી, ત્યાં સુધીમાં કાઇ હાથ ન આવ્યું. ત્યાર બાદ સવારે 8 આરામ બાદ ફરીથી NDRF, SDRF અને ફાયર વિભાગની ટીમ દ્વારા શોધખોળ ઓપરેશન ચાલુ કરાયું છે અને અત્યારે બપોરે 3 વાગ્યા સુધીમાં કોઈ અપડેટ મળ્યું નથી, છતાં પણ તમામ ટીમો દ્વારા શોધખોળ ચાલી રહી છે. આ ઘટનાને લઈને SP પણ સતત ઘટના સ્થળે છે, અને પળે પળનું અપડેટ લઈ રહ્યા છે.
શું છે સમગ્ર મમલો?
હાઇડ્રો પાવર પ્લાન્ટમાં મશીનરી રીપેરીંગનું કામ ચાલી રહ્યું હતું ત્યારે મહીસાગર નદીનું પાણી અચાનક વધી જતા દુર્ઘટના સર્જાઈ હતી. પ્લાન્ટમાં કાર્યરત 15 શ્રમજીવીઓમાંથી 5 મજૂરો પાણીના વહેણમાં સપડાઈ ડૂબ્યા હતા.