અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા શનિવારે (6 સપ્ટેમ્બર) ગણેશ વિસર્જન દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે. આ જાહેરનામામાં એલિસબ્રિજથી રાયપુર સુધીનો રસ્તો તેમજ પાલડીથી ગીતા મંદિર અને કાલુપુર તરફનો રસ્તો ઉપરાંત, રિવરફ્રન્ટના રસ્તા પણ બંધ રહેશે. જેથી વાહનચાલકોને વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા માટે સુચના આપવામાં આવી છે.
શનિવારે અમદાવાદના અનેક રસ્તા બંધ રહેશે
અમદાવાદમાં શનિવારના રોજ ખુબ મોટા પ્રમાણમાં ગણેશ વિસર્જન થવાનું હોવાથી શહેરના પાલડી અને એલિસબ્રિજથી પૂર્વ વિસ્તારમાં જતા રસ્તા બંધ કરવામાં આવશે. જેને લઈને અમદાવાદ ટ્રાફિક પોલીસે જાહેરનામુ બહાર પાડ્યું છે. આ જાહેરનામામાં પાલડીથી એસ ટી ગીતા મંદિર સુધીનો રસ્તો બંધ રહેશે. એટલા માટે ગીતા મંદિરથી પાલડી આવવા ઇચ્છતા વાહનચાલકો બહેરામપુરાથી દાણીલીમડા ચાર રસ્તા થઈને આંબેડકરબ્રીજ થઈ પાલડી અને આશ્રમ રોડ આવી શકાશે. ત્યારે ગીતા મંદિરથી રાયપુર ચાર રસ્તા અને ત્યાંથી કાલુપુર રેલવે સ્ટેશન સુધીનો રસ્તો પણ બંધ રહેશે. જેના કારણે કાલુપુર રેલવે સ્ટેશન જવા માટે એસટીથી ભુલાભાઈ ચાર રસ્તાથી કાંકરિયા ગોમતીપુર રેલવે કોલોની થઈને આંબેડરકર હોલથી કાલુપુર બ્રીજ થઈને રેલવે સ્ટેશન જઈ શકાશે.
કાલુપુર રેલવે સ્ટેશનથી એલિસબ્રીજ વાયા સાંરગપુર સર્કલનો રસ્તો પણ બંધ રખાશે. આ સાથે જ સરસપુર આઈટીઆઈ ચાર રસ્તાથી રખિયાલ ચાર રસ્તા સુધીનો રસ્તો પણ વાહનવ્યવહાર માટે સંપૂર્ણ બંધ રહેશે. ત્યારે દિલ્હી દરવાજાથી નમસ્તે સર્કલથી જુની પોલીસ કમિશનર કચેરીથી દધિચીબ્રિજ સુધીનો રસ્તા પર પણ વાહનવ્યવહાર બંધ રહેશે. આ સિવાય દિલ્હી દરવાજાથી બીઆરટીએસથી દધિચીબ્રિજ સુધીનો બંધ રહેશે, ત્યારે રીવરફ્રન્ટ પૂર્વ અને પશ્ચિમના બંને રસ્તા પણ બંધ રહેશે. આ તમામ રસ્તા બપોરે એક વાગ્યાથી મોડી રાત સુધી બંધ રાખવામાં આવશે.