સરદાર સરોવર નર્મદા ડેમ ની સપાટી માં વધારો થયો છે. માત્ર 24 કલાક માં 12 સેમી નો વધારો નોંધાયો છે. ઉપરવાસમાંથી 4,20,483 ક્યુસેક પાણીની આવક થઈ છે. જેથી હાલ નર્મદા ડેમ ની સપાટી 135.50 મીટર પર પહોંચી ચૂકી છે. એવામાં આજે 15 ગેટ 3.35 મીટર ખોલવામાં આવ્યા છે.
ડેમની હાલની સ્થિતિ
સરદાર સરોવર હાલની સપાટી - 135.64 મીટર છે અને ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. જેમાં ડેમમાં પાણીની આવક વધવાથી ડેમ 90 % ભરાયો છે.
ત્રણ જિલ્લામાં એલર્ટ
આજે ડેમનું પછી છોડવા નિર્ણયને લઈને નર્મદા, વડોદરા અને ભરૂચ જિલ્લાના કાંઠાના 27 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. ત્રણેય જિલ્લા કલેક્ટરને સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા જાણ કરવામાં આવી છે.
રાજ્યમાં 92 ટકા વરસાદ ખાબક્યો, 82થી વધુ ડેમ 100 ટકા ભરાયા
ગુજરાતમાં ચાલુ વર્ષે મેઘરાજાએ તમામ વિસ્તારમાં મેઘમહેર કરી છે. ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે 04 સપ્ટેમ્બર 2025 ની સ્થિતિએ સરેરાશ 92.64 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં 96.94 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાતમાં 96.91 ટકા, પૂર્વ-મધ્યમાં 93.79 ટકા, કચ્છમાં 85.14 ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં 84.74 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે તેમ, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની દ્વારા જણાવાયું છે.
વધુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ 206 ડેમમાંથી 113 ડેમ હાઈએલર્ટ પર મુકવામાં આવ્યા છે. જેમાં 82 ડેમ 100 ટકા, 68 ડેમ 70 થી 100 ટકા વચ્ચે, 24 ડેમ 50 થી 70 ટકા વચ્ચે જ્યારે 17 ડેમ 25 થી 50 ટકા વચ્ચે ભરાયા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં તેની કુલ ક્ષમતાના 89 ટકાથી વધુ જળસંગ્રહ ઉપલબ્ધ છે.
ગુજરાતમાં નોંધપાત્ર વરસાદના પરિણામે જગતના તાત એવા ખેડૂતો દ્વારા 01 સપ્ટેમ્બર-2025ની સ્થિતિએ સરેરાશ કુલ 96.29 ટકા વિસ્તારમાં ખરીફ –ચોમાસું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ 22 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર જ્યારે બીજા ક્રમમાં 20 લાખ હેક્ટરમાં કપાસ જ્યારે ત્રીજા ક્રમમાં 08 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું છે. તેમ, કૃષિ વિભાગની યાદીમાં જણાવાયું છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 24 જિલ્લાના 158 તાલુકામાં સરેરાશ 12 મી.મીથી વધુ વરસાદ વરસ્યો છે. ગુજરાતના માછીમારોને તા. 04 થી 07 સપ્ટેમ્બર સુધી દરિયો નહીં ખેડવા પણ IMD દ્વારા જણાવાયું છે.