સુરતના ભેસ્તાન વિસ્તારમાં ફરી એક વખત ગુનાખોરીનો ભયજનક બનાવ સામે આવ્યો છે. ભેસ્તાનના સિદ્ધાર્થ નગર વિસ્તારમાં એક યુવકની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવી છે. મૃતકનું નામ તુફાન રાઉત હોવાનું સામે આવ્યું છે, જેની ઉંમર આશરે 45 વર્ષ હોવાનું કહેવાય છે. તુફાન મૂળ ઓડિશા રાજ્યનો રહેવાસી હતો અને છેલ્લા ઘણા સમયથી સુરતમાં વસવાટ કરી રહ્યો હતો.
ભેસ્તાન પોલીસ તપાસ હાથધરી
હત્યા કેવી રીતે અને શા માટે કરવામાં આવી તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી બહાર આવી નથી. ઘટના અંગે જાણ મળતાં ભેસ્તાન પોલીસ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરત જ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે
હત્યા પાછળ શું કારણ?
પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે અને મૃતકના પરિવારજનો તથા આસપાસના લોકોને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. તુફાન રાઉતની હત્યા પાછળ શું કારણ રહેલું છે અને કોણ આ હત્યા પાછળ છે તે જાણવા પોલીસ તંત્રે ગહન તપાસ હાથ ધરી રહ્યું છે. આ ઘટનાને લઈ સ્થાનિકોમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરત જેવા ઉદ્યોગશીલ શહેરમાં વારંવાર આવી ક્રાઈમની ઘટનાઓ બનતા લોકોમાં કાયદા અને વ્યવસ્થા સામે પણ સવાલો ઉઠી રહ્યાં છે.