logo-img
Gujarat Rain Signal Number 3 Hoisted At Veraval Port

વેરાવળ બંદરે 3 નંબરનું સિગ્નલ લગાવ્યું : અરબી સમુદ્રમાં લો-પ્રેશર સર્જાતા તોફાની માહોલ, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી

વેરાવળ બંદરે 3 નંબરનું સિગ્નલ લગાવ્યું
Published by: Offbeat Team
| Last Updated: Sep 28, 2025, 12:51 PM IST

અરબી સમુદ્રમાં સર્જાયેલા લો-પ્રેશરના કારણે દરિયો અશાંત બન્યો છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને વેરાવળ પોર્ટ કચેરી દ્વારા 3 નંબરનું સિગ્નલ ચડાવવામાં આવ્યું છે. સામાન્ય રીતે બંદરો પર 1થી 11 નંબર સુધીના સિગ્નલ ચડાવવામાં આવે છે, જેમાં 3 નંબરનું સિગ્નલ એ સૂચવે છે કે દરિયામાં મોજાં સામાન્ય કરતાં વધુ ઊંચા છે અને હવામાન માછીમારો માટે જોખમી બની ગયું છે.

દરિયામાં ઊંચા મોજાં અને તેજ પવન

હાલમાં દરિયામાં તેજ પવન ફૂંકાઈ રહ્યો છે અને ઊંચા મોજાં ઉછળી રહી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા આ લો-પ્રેશરના કારણે આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ ગંભીર બનવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. દરિયામાં તોફાની પવન સાથે ભારે વરસાદ પડવાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે. જેના પગલે દરિયો ખેડવા જતાં માછીમારોના જીવને મોટું જોખમ ઊભું થઈ શકે છે.

પોર્ટ કચેરીની કડક ચેતવણી

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોર્ટ કચેરીએ તમામ માછીમારોને ખાસ ચેતવણી આપી છે કે તેઓ હાલ દરિયામાં ન ઉતરે. જે માછીમારો પહેલેથી જ દરિયામાં ઊતર્યા છે તેમને તાત્કાલિક કિનારે પરત ફરવા અનુરોધ કરવામાં આવ્યો છે. પોર્ટ કચેરીએ સ્પષ્ટ જણાવ્યું છે કે જીવલેણ પરિસ્થિતિને અવગણવામાં આવશે તો તેની ગંભીર અસર પડી શકે છે.

લોકોએ સાવચેત રહેવું જરૂરી

સ્થાનિક તંત્ર દ્વારા કિનારાના વિસ્તારોમાં સાવચેતી રાખવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. માછીમારોના પરિવારોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના સભ્યોને દરિયાથી દૂર રહેવા સમજાવે. તોફાની માહોલને કારણે દરિયાકિનારે ફરવા જનાર લોકોને પણ કિનારે ન જવા જણાવાયું છે.

વેરાવળ બંદર અને આસપાસના વિસ્તારોમાં હાલ લોકોમાં ચિંતા ફેલાઈ છે. જો કે પોર્ટ કચેરી અને હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી ચેતવણીને ગંભીરતાથી અનુસરવામાં આવશે તો મોટી આફતથી બચી શકાય છે. હાલની પરિસ્થિતિમાં સૌને સાવચેત રહી સલામતીના નિયમોનું પાલન કરવાનો અનુરોધ કરવામાં આવી રહ્યો છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now