અવિશ્વસનીય જીત સાથે એશિયા કપ પોતાના નામે કરીને ટીમ ઈન્ડિયા આજે સવારે દુબઈથી સીધા અમદાવાદ પહોંચી છે. દુબઈમાં યોજાયેલી ટુર્નામેન્ટમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને એક પણ મેચ હાર્યા વગર અજેય રહીને એશિયા કપ જીત્યો હતો. દેશભરમાં વિજયની ખુશી જોવા મળી રહી છે, અને હવે ટીમ ઈન્ડિયા પોતાના આગામી મિશન માટે તૈયાર છે.
ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડીઝ સામે ટેસ્ટ મેચ રમશે
ટીમ ઈન્ડિયાનું ધ્યાન હવે વેસ્ટ ઈન્ડીઝ સામેના આવનારા ટેસ્ટ સિરીઝ પર કેન્દ્રિત થયું છે. આ સિરીઝનો પ્રારંભ 2 ઓક્ટોબરથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થવાનો છે. આ મેચ ઘરઆંગણે રમાઈ રહી છે. જેના કારણે ભારતીય ક્રિકેટ પ્રેમીઓમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
પ્રેક્ટિસ શરૂ કરશે
ટીમના તમામ ખેલાડીઓ આજે વહેલી સવારે લગભગ રાત્રે 3 વાગે દુબઈથી સીધા અમદાવાદ પહોંચી ગયા છે. હાલમાં તેઓ સ્ટેડિયમ નજીકના હોટલમાં આરામ પર છે અને ટૂંક સમયમાં પ્રેક્ટિસ શરૂ કરશે. ટેસ્ટ સિરીઝ માટે પસંદ કરાયેલી ટીમમાં અનેક યુવા ખેલાડીઓને પણ તક આપવામાં આવી છે, જેના કારણે આ સિરીઝ વધુ રોમાંચક બનવાની શક્યતા છે. એશિયા કપની જીતથી ટીમનો આત્મવિશ્વાસ પણ વધ્યો છે અને હવે ભારતની કોશિશ રહેશે કે તેઓ વેસ્ટ ઈન્ડીઝ સામેની સમગ્ર સિરીઝ પર પોતાનો દબદબો જમાવીને જીત મેળવશે. આવનારા દિવસોમાં ટેસ્ટ મેચમાં કઈ રણનીતિ અપનાવાય છે અને ખેલાડીઓ કેવું પ્રદર્શન કરે તે જોવું રસપ્રદ રહેશે.
ઉષ્માભર્યું અને પરંપરાગત સ્વાગત કરાયું
અમદાવાદમાં ITC નર્મદા ખાતે ઉષ્માભર્યું અને પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું. કારણ કે, કે એલ રાહુલ અને ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર સહિતના ખેલાડીઓના સ્વાગત માટે રૂબી ચોકલેટ ફજ, હળદર અને પિસ્તા ફજ, ડાર્ક ચોકલેટ અને જરદાળુ ફજ, ખજૂર અંજીર રોલ અને પિસ્તા કોળુ બરફી સહિત ખાસ ક્યુરેટેડ ટ્રીટ્સ તૈયાર કરવામાં આવી.