ભારત આજે પોતાનો 77મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે. દર વર્ષે જ્યારે 26 જાન્યુઆરી આવે છે, ત્યારે દરેક ભારતીયનું હૃદય ગર્વથી ભરાઈ જાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભારત 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદ થયું હોવા છતાં, બંધારણના અમલ માટે 26 જાન્યુઆરીની જ પસંદગી કેમ કરવામાં આવી? બંધારણ તો 26 નવેમ્બર 1949ના રોજ તૈયાર થઈ ગયું હતું, છતાં બે મહિનાનો ઈન્તજાર કેમ? આ પ્રશ્ન પાછળ ભારતનો ભવ્ય સ્વતંત્રતા સંગ્રામ અને 'પૂર્ણ સ્વરાજ'નું સપનું છુપાયેલું છે. પ્રજાસત્તાક બનવાની આ યાત્રા માત્ર કાયદાકીય દસ્તાવેજની રચના નથી, પણ કરોડો ભારતીયોના આત્મસન્માન અને લોકશાહીના ઉદયની ગાથા છે.
આઝાદી મળી પણ કાયદા બ્રિટિશ હતા: બંધારણની જરૂરિયાત
15 ઓગસ્ટ 1947ના રોજ જ્યારે ભારત આઝાદ થયું, ત્યારે દેશ પાસે પોતાની સરકાર તો હતી પણ પોતાના મૌલિક કાયદા નહોતા. ભારત હજુ પણ બ્રિટિશ શાસનના 'ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935' હેઠળ ચાલી રહ્યું હતું. એક સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે ભારતને પોતાના કાયદા અને નિયમોની જરૂર હતી, જે ભારતની ભૌગોલિક અને સાંસ્કૃતિક વિવિધતાને ન્યાય આપી શકે.
બંધારણ સભા અને બાબાસાહેબનું અમૂલ્ય પ્રદાન
ભારતના નિર્માણ માટેના આ ઉમદા હેતુને સિદ્ધ કરવા માટે બંધારણ સભાની રચના કરવામાં આવી હતી, જેમાં બંધારણ ઘડવાની ઐતિહાસિક પ્રક્રિયાનો પ્રારંભ 9 ડિસેમ્બર, 1946ના રોજ થયો હતો. આ સભાના પ્રમુખ તરીકે ડૉ. રાજેન્દ્ર પ્રસાદે નેતૃત્વ સંભાળ્યું હતું, જ્યારે બંધારણના જટિલ દસ્તાવેજને આખરી ઓપ આપવા માટે રચાયેલી મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે ડૉ. ભીમરાવ આંબેડકરની વરણી કરવામાં આવી હતી. મહાત્મા ગાંધી અને જવાહરલાલ નેહરુ જેવા નેતાઓ પણ સ્પષ્ટપણે માનતા હતા કે, ડૉ. આંબેડકરના અગાધ જ્ઞાન અને વિદ્વત્તા વિના આ રાષ્ટ્રીય દસ્તાવેજ અધૂરો રહેશે. આ ભગીરથ કાર્ય પૂર્ણ કરવા માટે 2 વર્ષ, 11 મહિના અને 17 દિવસની અવિરત અને સખત મહેનત કરવામાં આવી હતી. આ લાંબા ગાળા દરમિયાન કુલ 11 સત્રો યોજાયા અને 114 દિવસ સુધી ચાલેલી ગહન ચર્ચાઓના અંતે વિશ્વનું સૌથી મોટું અને વ્યાપક લિખિત બંધારણ તૈયાર થયું.
૨૬ જાન્યુઆરી જ કેમ? 'પૂર્ણ સ્વરાજ' સાથેનું જોડાણ
બંધારણ 26 નવેમ્બર 1949ના રોજ સ્વીકારાઈ ગયું હતું, જેને આપણે આજે 'બંધારણ દિવસ' તરીકે ઉજવીએ છીએ. પરંતુ તેનો અમલ 26 જાન્યુઆરી 1950થી થયો. તેનું કારણ ઐતિહાસિક છે: 1929માં લાહોર અધિવેશનમાં જવાહરલાલ નેહરુની અધ્યક્ષતામાં કોંગ્રેસે 'પૂર્ણ સ્વરાજ'નો ઠરાવ પસાર કર્યો હતો. ત્યારબાદ 26 જાન્યુઆરી 1930ના રોજ પ્રથમ વખત દેશભરમાં "સ્વતંત્રતા દિવસ" (પૂર્ણ સ્વરાજ દિવસ) તરીકે ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસની યાદ અને સન્માન જાળવી રાખવા માટે 26 જાન્યુઆરીને ભારતના પ્રજાસત્તાક દિવસ તરીકે પસંદ કરવામાં આવ્યો.
સાર્વભૌમ લોકશાહી યુગનો પ્રારંભ
26 જાન્યુઆરી 1950ના રોજ સવારે 10:18 વાગ્યે ભારત એક સાર્વભૌમ લોકશાહી પ્રજાસત્તાક રાષ્ટ્ર જાહેર થયું. બ્રિટિશ કાયદા રદ થયા અને ભારતના રાષ્ટ્રપતિએ સર્વોચ્ચ વડા તરીકે શપથ લીધા. બાદમાં 1976માં 42મા સુધારા દ્વારા પ્રસ્તાવનામાં 'સમાજવાદી' અને 'ધર્મનિરપેક્ષ' શબ્દો ઉમેરીને લોકશાહીને વધુ મજબૂત બનાવવામાં આવી.
કર્તવ્ય પથ પર ભારતની શક્તિનું પ્રદર્શન
દર વર્ષે પ્રજાસત્તાક પર્વની ઉજવણી દિલ્હીના કર્તવ્ય પથ (અગાઉનું રાજપથ) પર ભવ્ય રીતે કરવામાં આવે છે.
યુદ્ધ સ્મારક: પ્રધાનમંત્રી 'નેશનલ વોર મેમોરિયલ' પર જ શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે.
ધ્વજવંદન: રાષ્ટ્રપતિ ત્રિરંગો લહેરાવે છે અને 21 તોપોની સલામી આપવામાં આવે છે.
પરેડ: ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેનાના જવાનોનું શિસ્તબદ્ધ કૂચ અને રાજ્યોના ટેબ્લો (ચિત્ર રથ) ભારતની સંસ્કૃતિ અને સૈન્ય તાકાતનું પ્રદર્શન કરે છે.





















