મથુરા: ઉત્તર પ્રદેશના મથુરામાં રવિવારે વહેલી સવારે એક સનસનાટીભરી ઘટના સામે આવી છે, જેમાં જાણીતા ગૌરક્ષક અને '' તરીકે ઓળખાતા ચંદ્રશેખર બાબાનું ટ્રક નીચે કચડાઈ જવાથી કરૂણ મોત નીપજ્યું છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. બાબાના સમર્થકો અને સ્થાનિક લોકોએ ગૌ-તસ્કરીનો આરોપ લગાવી દિલ્હી-મથુરા હાઈવે પર ચક્કાજામ કરી દીધો હતો. ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો અને અનેક સરકારી વાહનોના કાચ તોડી નાખ્યા હતા, જેના જવાબમાં પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસના શેલ છોડવાની ફરજ પડી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આ સ્થળથી માત્ર 25 કિલોમીટર દૂર ગોવર્ધન પર્વતની પરિક્રમા કરી રહ્યા હતા. પરિસ્થિતિની ગંભીરતાને જોતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તાત્કાલિક નોંધ લીધી છે અને અધિકારીઓને દોષિતો સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે.
ગૌ-તસ્કરીનો ગંભીર આરોપ: કઈ રીતે બની ઘટના?
બાબાના સાથીદારો અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, રવિવારે સવારે આશરે 5 વાગ્યે બાબાને પશુઓ ભરેલી એક શંકાસ્પદ ટ્રક પસાર થવાની માહિતી મળી હતી. બાબા અને તેમના સાથીઓએ બાઇક પર આ ટ્રકનો પીછો કર્યો હતો. કોસી અને છાતા પોલીસ સ્ટેશન વિસ્તારની વચ્ચે બાબાએ ટ્રકને ઓવરટેક કરીને તેની સામે બાઇક ઉભી રાખી દીધી હતી. આરોપ છે કે, ટ્રક ડ્રાઇવરે ગાડી ઉભી રાખવાને બદલે સ્પીડ વધારી દીધી અને બાબાને કચડી નાખ્યા હતા. બાબાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું, જ્યારે ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો.
હાઈવે બન્યું રણમેદાન: પોલીસ પર પથ્થરમારો અને તોડફોડ
બાબાના મોતના સમાચાર વાયુવેગે ફેલાતા હજારોની સંખ્યામાં લોકો હાઈવે પર ઉતરી આવ્યા હતા. લોકોની માંગ હતી કે, આરોપીઓનું તાત્કાલિક એન્કાઉન્ટર કરવામાં આવે. ઉશ્કેરાયેલા ટોળાએ ૫ થી ૬ પોલીસ વાહનોમાં તોડફોડ કરી હતી. જ્યારે પોલીસે રસ્તો ખુલ્લો કરાવવાનો પ્રયાસ કર્યો ત્યારે લોકોએ પોલીસ પર ભારે પથ્થરમારો કર્યો, જેમાં અનેક પોલીસકર્મીઓ લોહીલુહાણ થયા હતા. ટ્રાફિક જામને કારણે હાઈવે પર ૫ કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.
પોલીસનો દાવો: "આ એક અકસ્માત હતો"
બીજી તરફ, DIG શૈલેષ પાંડેએ ભીડના દાવાઓને નકારી કાઢતા જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં આ એક અકસ્માત જણાય છે. સવારે ભારે ધુમ્મસ હોવાને કારણે પાછળથી આવતી એક ટ્રકે ઉભેલી ટ્રકને ટક્કર મારી હતી, જેમાં બાબા ઝપેટમાં આવી ગયા હતા. DIGએ સ્પષ્ટતા કરી હતી કે જે ટ્રકની તપાસ કરવામાં આવી રહી હતી તેમાં કોઈ ગૌ-વંશ મળી આવ્યા નથી. પોલીસે પથ્થરમારો કરનારા બે યુવાનોની ધરપકડ કરી છે અને અન્ય તોફાની તત્વોની ઓળખ કરવામાં આવી રહી છે.
રાજકીય ગરમાવો: અખિલેશ યાદવે સરકારને ઘેરી
આ ઘટનાને લઈને ઉત્તર પ્રદેશમાં રાજકારણ પણ ગરમાયું છે. સપા નેતા અખિલેશ યાદવે ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, યુપીમાં ગુનાખોરીનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. તેમણે આક્ષેપ કર્યો કે પોલીસ પોતાના કામને બદલે ભાજપના એજન્ડા પર કામ કરી રહી છે, જેના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. કેબિનેટ મંત્રી ચૌધરી લક્ષ્મી નારાયણે પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને ન્યાયની ખાતરી આપી છે.
કોણ હતા 'ફરસા વાલે બાબા'?
ચંદ્રશેખર બાબા આ વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિય હતા. તેઓ એક ગૌશાળા ચલાવતા હતા અને બીમાર તેમજ તરછોડાયેલી ગાયોની સેવા માટે જાણીતા હતા. તેઓ ગૌ-તસ્કરી વિરુદ્ધ અવાજ ઉઠાવતા ગૌરક્ષા દળનું સંચાલન કરતા હતા. તેમના નિધનથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.




















