મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ જંગ અને વધતા આંતરરાષ્ટ્રીય તણાવ વચ્ચે શ્રીલંકાએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો આંચકો આપ્યો છે. શ્રીલંકાએ પોતાની ધરતી પર અમેરિકી લડાયક વિમાનોને ઉતરવાની પરવાનગી ન આપીને પોતાની સાર્વભૌમત્વતાનો પરિચય આપ્યો છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકેએ સંસદમાં સત્તાવાર રીતે જણાવ્યું હતું કે તેમની સરકારે માર્ચ મહિનાની શરૂઆતમાં અમેરિકાના 2 ફાઈટર જેટ્સને દક્ષિણ-પૂર્વમાં આવેલા મત્તાલા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરવાની મંજૂરી આપવાની વિનંતી ફગાવી દીધી છે.
એન્ટી શિપ મિસાઈલથી સજ્જ હતા અમેરિકી વિમાનો
રાષ્ટ્રપતિ દિસાનાયકેએ ખુલાસો કર્યો કે જિબૂતી સ્થિત અમેરિકી સૈન્ય મથક પરથી આ લડાયક વિમાનોએ 4 અને 8 માર્ચના રોજ શ્રીલંકા આવવા માટે પરવાનગી માંગી હતી. આ વિમાનો 8 જેટલી એન્ટી શિપ મિસાઈલોથી સજ્જ હતા. રાષ્ટ્રપતિએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "અમે વિવિધ પ્રકારના દબાણો છતાં અમારી તટસ્થતા જાળવી રાખવા માંગીએ છીએ અને અમે કોઈની સામે ઝૂકીશું નહીં. પશ્ચિમ એશિયાનું યુદ્ધ ઘણી પડકારો ઊભી કરી રહ્યું છે, પરંતુ અમે દરેક રીતે તટસ્થ રહેવા માટે પ્રયત્નશીલ છીએ."
શ્રીલંકાના દરિયાકાંઠે અમેરિકાએ ઈરાની જહાજને બનાવ્યું હતું નિશાન
નોંધનીય છે કે 4 માર્ચ 2026ના રોજ અમેરિકાએ શ્રીલંકાના દક્ષિણ કિનારે ગાલે શહેર પાસે ઈરાનના ‘IRIS DENA’ જહાજ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 84 નાવિકોના મોત થયા હતા, જ્યારે 32 લોકોને બચાવી લેવાયા હતા. આ જહાજ ભારતના વિશાખાપટ્ટનમમાં યોજાયેલા નૌકાદળના કાર્યક્રમમાં ભાગ લઈને પરત ફરી રહ્યું હતું. આ ઘટનાના બે દિવસ બાદ ઈરાનનું અન્ય એક જહાજ ‘IRIS બુશહર’ 219 નાવિકો સાથે કોલંબો બંદર પર પ્રવેશવા ઈચ્છતું હતું, પરંતુ શ્રીલંકાએ તેને કોલંબોના કિનારે લાંગર્યા બાદ ત્રિંકોમાલી તરફ જવાનો આદેશ આપ્યો હતો.
આ ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે જ્યારે અમેરિકાના વિશેષ દૂત સર્જિયો ગોરે શ્રીલંકાના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. જોકે, શ્રીલંકાના આ કડક વલણથી હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભૌગોલિક-રાજકીય સમીકરણો બદલાય તેવી શક્યતા છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના વધતા તણાવમાં શ્રીલંકાએ પોતાની ધરતીનો ઉપયોગ લશ્કરી હેતુ માટે કરવા ન દઈને વિશ્વને શાંતિનો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે.




















