પશ્ચિમ એશિયામાં ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની ગંભીર સ્થિતિ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે બહેરીનના રાજા મહામહિમ હમદ બિન ઈસા અલ ખલીફા સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. આ સંવાદ દરમિયાન પીએમ મોદીએ બહેરીનની જનતાને ઈદ-ઉલ-ફિતરની શુભકામનાઓ પાઠવવાની સાથે પ્રદેશમાં વ્યાપી રહેલા તણાવ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. ભારતે આ મુશ્કેલ સમયમાં શાંતિ સ્થાપવા પર ભાર મૂક્યો છે જેની વિગતો પ્રધાનમંત્રીએ પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરી છે. ઉલ્લેખનીય છે કે અમેરિકી હુમલામાં ઈરાનમાં 400થી વધુ લોકોના મોત થયા છે અને વળતા પ્રહાર તરીકે ઈરાન પણ સતત હુમલા કરી રહ્યું છે.
પીએમ મોદીએ આ ચર્ચા અંગે માહિતી આપતા જણાવ્યું કે બહેરીનના રાજા સાથેની આ વાતચીત અત્યંત સાર્થક રહી હતી. બંને નેતાઓએ પશ્ચિમ એશિયાઈ ક્ષેત્રની વર્તમાન પરિસ્થિતિ પર વિસ્તૃત મંથન કર્યું હતું. ભારતે આ ક્ષેત્રમાં ઊર્જા સંસાધનો અને નાગરિક માળખાકીય સુવિધાઓ પર કરવામાં આવેલા હુમલાઓને સખત શબ્દોમાં વખોડી કાઢ્યા હતા. આ સાથે જ પીએમ મોદીએ રેખાંકિત કર્યું હતું કે આવા હુમલાઓની સીધી પ્રતિકૂળ અસર વૈશ્વિક ખાદ્ય, ઈંધણ અને ખાતરની સુરક્ષા પર પડી રહી છે જે ચિંતાનો વિષય છે.
આ મહત્વપૂર્ણ બેઠકમાં દરિયાઈ માર્ગોની સુરક્ષાનો મુદ્દો પણ કેન્દ્રસ્થાને રહ્યો હતો. પ્રધાનમંત્રીએ નૌકાયાનની સ્વતંત્રતા સુનિશ્ચિત કરવા અને શિપિંગ રૂટ્સને સુરક્ષિત રાખવાના મહત્વ પર ભાર મૂક્યો હતો જેથી આંતરરાષ્ટ્રીય વ્યાપાર અવરોધાય નહીં. આ ઉપરાંત પીએમ મોદીએ બહેરીનમાં વસતા ભારતીય સમુદાયના કલ્યાણ અને તેમને મળતા સતત સમર્થન બદલ ત્યાંના રાજાનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. ભારતની આ રાજદ્વારી પહેલ પશ્ચિમ એશિયામાં સ્થિરતા લાવવાના પ્રયાસોના ભાગરૂપે જોવામાં આવી રહી છે.




















