સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવના પરિવારમાં ચાલી રહેલા વિવાદો વચ્ચે કાયદાકીય પાસાઓ પર ચર્ચાઓ તેજ બની છે. પ્રતીક યાદવની સોશિયલ મીડિયા પોસ્ટ બાદ લોકોમાં એ વાતની ઉત્સુકતા જાગી છે કે છૂટાછેડાની પ્રક્રિયા દરમિયાન પત્ની વિરુદ્ધ કરવામાં આવતી નિવેદનબાજી કેટલી જોખમી સાબિત થઈ શકે છે. કાયદાકીય નિષ્ણાતોના મતે લગ્ન જીવનના વિવાદોને સાર્વજનિક કરવા અથવા જીવનસાથી પર પાયાવિહોણા આક્ષેપો કરવાથી પતિ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. ખાસ કરીને જ્યારે પત્નીના ચરિત્ર કે માનસિક સ્થિતિ વિશે પુરાવા વગર ટિપ્પણી કરવામાં આવે ત્યારે કોર્ટ તેને ગંભીરતાથી લે છે.
ચરિત્ર હનન બની શકે છે ગુનો
કોઈપણ મજબૂત પુરાવા વગર પત્નીના ચરિત્ર પર સવાલ ઉઠાવવા અથવા અનૈતિક આચરણના આક્ષેપ કરવા એ છૂટાછેડાના કેસમાં સૌથી મોટી ભૂલ ગણાય છે. જો આવા દાવા Social Media અથવા ઇન્ટરવ્યુ દ્વારા જાહેરમાં કરવામાં આવે તો પત્નીને પતિ વિરુદ્ધ ફોજદારી માનહાનિનો કેસ દાખલ કરવાનો સંપૂર્ણ અધિકાર છે. ભારતીય ન્યાય સંહિતા હેઠળ બદનક્ષી બદલ જેલની સજા અને દંડ બંનેની જોગવાઈ કરવામાં આવી છે.
માનસિક અસ્થિરતાના ખોટા દાવા
ઘણીવાર પતિઓ પોતાનો પક્ષ મજબૂત કરવા માટે પત્નીને માનસિક રીતે બીમાર કે પાગલ જાહેર કરવાનો પ્રયાસ કરતા હોય છે. જો તબીબી પ્રમાણપત્ર વગર આવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવે તો અદાલત તેને માનસિક ક્રૂરતા માને છે. આવા કિસ્સામાં પતિને રાહત મળવાના બદલે તેની સામેની કાયદાકીય પ્રક્રિયા વધુ કડક બની શકે છે અને કોર્ટ પતિને જ ક્રૂર ગણી શકે છે.
ખોટા ફોજદારી આક્ષેપોનું પરિણામ
છૂટાછેડાના કેસમાં પત્નીને નબળી પાડવા માટે ચોરી, છેતરપિંડી કે ગેરવર્તણૂકના ખોટા કેસ કરવા પતિ પર ઉલટા પડી શકે છે. કાયદા મુજબ ખોટી ફોજદારી કાર્યવાહી શરૂ કરવી પોતે એક ગંભીર અપરાધ છે. જો સાબિત થાય કે આરોપો માત્ર હેરાન કરવા માટે જ લગાવવામાં આવ્યા હતા તો પતિને જેલની સજા થઈ શકે છે.
ડિજિટલ મર્યાદા અને સન્માન
પત્નીના અંગત જીવનની વાતો ઓનલાઈન શેર કરવી કે અપમાનજનક પોસ્ટ મૂકવી એ મહિલાની પ્રાઈવસી અને સન્માનના અધિકારનું ઉલ્લંઘન છે. અદાલતો આ બાબતને ખૂબ ગંભીરતાથી જુએ છે કારણ કે તેનાથી વ્યક્તિની સામાજિક પ્રતિષ્ઠાને કાયમી નુકસાન થાય છે. પુરાવા વગરના આક્ષેપો ફેમિલી કોર્ટમાં ટકતા નથી અને તેના કારણે પત્ની દ્વારા કરવામાં આવતા વળતા કેસ પતિની મુશ્કેલીઓમાં વધારો કરે છે.





















