એક પ્રતિષ્ઠિત સ્વિસ લશ્કરી ઇતિહાસ અને રણનિતી થિંક ટેન્ક દ્વારા કરવામાં આવેલા વિગતવાર નવા અભ્યાસમાં તારણ કાઢવામાં આવ્યું છે કે મે 2025 માં ભારતના ઓપરેશન સિંદૂરએ દક્ષિણ એશિયામાં હવાઈ શક્તિના સંતુલનમાં નિર્ણાયક પરિવર્તન આણ્યું છે. તેમાં જણાવાયું છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન, નવી દિલ્હીએ સ્પષ્ટ હવાઈ શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી અને ચાર દિવસની ભીષણ લડાઈ પછી પાકિસ્તાનને યુદ્ધવિરામ માટે મજબૂર કર્યું.
સ્વિટ્ઝર્લૅન્ડના સેન્ટર ફોર મિલિટરી હિસ્ટ્રી એન્ડ પર્સ્પેક્ટિવ સ્ટડીઝ (CHPM) દ્વારા પ્રકાશિત અને લશ્કરી ઇતિહાસકાર એડ્રિયન ફોન્ટાનેલાઝ દ્વારા લખાયેલ આ અહેવાલ, 7 થી 10 મે, 2025 સુધી ચાલેલા 88 કલાકના ભારત-પાકિસ્તાન હવાઈ યુદ્ધ પર અત્યાર સુધીનું સૌથી સ્વતંત્ર સંશોધન રજૂ કરે છે. સ્વિસ વિશ્લેષણનો તર્ક છે કે જ્યારે આંતરરાષ્ટ્રીય મીડિયા ઘણીવાર કમ સે કેમ એક ભારતીય રાફેલના નુકસાનની ચર્ચા કરે છે, ત્યારે ઓપરેશન સિંદૂરના પરિણામો આશ્ચર્યજનક છે. ભારતે વ્યવસ્થિત રીતે પાકિસ્તાનના હવાઈ સંરક્ષણ અને મારક ક્ષમતાનો નાશ કર્યો અને પોતાના દમ પર સંઘર્ષનો અંત લાવ્યો.
ભારતના જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા ઘાતક આતંકવાદી હુમલા બાદ ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું હતું. નવી દિલ્હીએ આ હુમલાને પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથો સાથે જોડ્યો. અહેવાલ મુજબ, ભારતીય રાજકીય નેતાઓએ સશસ્ત્ર દળોને બદલો લેવાની કાર્યવાહીની યોજના બનાવવાની છૂટ આપી હતી જે ભવિષ્યના હુમલાઓને રોકવા માટે પૂરતી અસરકારક હશે, ભલે તેનાથી બે પરમાણુ સશસ્ત્ર પડોશીઓ વચ્ચે તણાવ વધવાનું જોખમ રહે.
7 મેની સવારે
7 મેની સવારે, ભારતીય વાયુસેના (IAF) એ જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા મુખ્ય મથકો અને મુખ્ય શિબિરો સહિત હાઈવેલ્યુ ધરાવતા આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો. બે મુખ્ય ઠેકાણા, બહાવલપુર અને મુરીદકે પર લોંગ રેન્જથી સટીક મારક ક્ષમતા સાથે હુમલા કરવામાં આવ્યા હતા, અને હુમલા પછીના આકલને પુષ્ટિ કરી કે અસંખ્ય ઇમારતો નાશ પામી હતી અથવા ગંભીર રીતે નુકસાન થયું હતું. સ્વિસ રિપોર્ટમાં જણાવાયું હતું કે આ હુમલાઓ અગાઉના ભારતીય પ્રતિક્રિયાઓ કરતા ગુણાત્મક રીતે મોટા અને વધુ ઘાતક હતા. આ કાર્યવાહી માત્ર અત્યંત ઘાતક અને નુકસાનકારક જ નહોતી, પરંતુ ભારતની વિવિધ લશ્કરી સેવાઓ વચ્ચે ઉત્તમ સંકલન પણ દર્શાવ્યું હતું.
ભારતનું નુકસાન
પાકિસ્તાને શરૂઆતમાં હવાઈ હુમલાઓનો આક્રમક રીતે જવાબ આપ્યો. એ રાત્રે દાયકાઓમાં સૌથી મોટા હવાઈ સંઘર્ષોમાંનો એક જોવા મળ્યો, જેમાં અનેક ક્ષેત્રોમાં આશરે 60 ભારતીય ફાઈટર વિમાનો અને 40 થી વધુ પાકિસ્તાની ફાયટર પ્લેનનો સમાવેશ થતો હતો. ચીન પાસેથી મેળવેલી PL-15 એર-ટુ-એર મિસાઇલો અને એરબોર્ન એસ્કોર્ટ એરક્રાફ્ટનો ઉપયોગ કરીને, પાકિસ્તાન વાયુસેના (PAF) એ ભારતીય વાયુસેનાને નુકસાન પહોંચાડ્યું. નુકસાનમાં કમ સે કમ એક રાફેલ, એક મિરાજ 2000 અને બીજા એક ફાઇટર પ્લેનનો સમાવેશ થાય છે. સ્વિસ રિપોર્ટમાં આ તબક્કાને માહિતી અને ધારણાના ક્ષેત્રમાં ભારત માટે "ગંભીર વ્યૂહાત્મક પછાડ" તરીકે વર્ણવવામાં આવી છે, કારણ કે તેનાથી ઇસ્લામાબાદને પ્રારંભિક વિજયનો દાવો કરવાની અને હેડલાઇન્સમાં છવાઈ જવાનો મોકો મળ્યો હતો.
ભારતે કેવી રીતે કર્યો પલટવાર
રિપોર્ટની મુખ્ય દલીલ એ છે કે આ પ્રારંભિક અથડામણે ઓપરેશનનો ફેંસલો નથી કર્યો, તેના બદલે, તેણે વધુ ઘાતક ભારતીય પલટવારને જન્મ આપ્યો. આગામી થોડા કલાકોમાં, ભારતીય વાયુસેનાએ તેના એ રણનીતિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું જેને સ્વિસ વિશ્લેષકો દુશ્મનના હવાઈ સંરક્ષણને સંપૂર્ણપણે નષ્ટ કરવા માટે એક શ્રેષ્ઠ અભિયાન કહે છે. ફ્રેન્ચ-ડેરિવ્ડ સ્કેલ્પ-ઇજી અને ભારતીય-નિર્મિત બ્રહ્મોસ જેવી સ્ટેન્ડઓફ ક્રુઝ મિસાઇલોનો ઉપયોગ કરીને, સંકલિત હુમલાઓ કરીને, ભારતીય દળોએ પાકિસ્તાનના સરફેસ ટુ એર પ્રહાર કરતા મિસાઇલ નેટવર્ક અને રડાર કવરેજને વ્યવસ્થિત રીતે નબળું પાડ્યું.
પાકિસ્તાન લાચાર બન્યું
ડિફેન્સ કવરેજ નબળું પડી ગયું, ત્યારે ભારતે મુખ્ય પાકિસ્તાની હવાઈ મથકો પર શ્રેણીબદ્ધ હુમલાઓ શરૂ કર્યા. સ્વિસ રિપોર્ટમાં આ હુમલાઓને "શાનદાર" ગણાવ્યા. સટીક દારૂગોળા અને લોંગ રેન્જના શસ્ત્રો સાથે કરવામાં આવેલા આ હુમલાઓએ પાકિસ્તાની રનવે, માળખાગત સુવિધાઓ અને સહાયક સુવિધાઓને નિશાન બનાવી. આનાથી પાકિસ્તાની વાયુસેનાની ઓપરેશન કરવાની ક્ષમતામાં ભારે ઘટાડો થયો. પાકિસ્તાન હવે તેના મુખ્ય વાયુસેના કેન્દ્રો પર સીધા અને વારંવાર હુમલાઓનો સામનો કરી રહ્યું હતું.
સ્વિસ રિપોર્ટમાં ભારતના ઇન્ટિગ્રેટેડ એર ડિફેન્સ અને કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ, ખાસ કરીને IACCCS નેટવર્ક અને આર્મીના આકાશ તીર સિસ્ટમ સાથેના તેના સંકલન પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. IACCCS નેટવર્ક અને આર્મીના આકાશ તીર સિસ્ટમ, આકાશ, બરાક-8 અને S-400 સહિત લેયર્ડ સરફેર ટુ એર પ્રહાર કરતી મિસાઇલ સંરક્ષણ પ્રણાલીઓ સાથે મળીને, પાકિસ્તાનના બદલો લેવાના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા. આનાથી સમગ્ર વિશ્વને આશ્ચર્ય થયું, કારણ કે પાકિસ્તાન ઇચ્છવા છતા પણ કોઈ હુમલો કરી શકવાની સ્થિતીમાં ન હતું.
પાકિસ્તાને શરણાગતિ સ્વીકારી
રિપોર્ટ મુજબ, 10 મે સુધીમાં પરિસ્થિતિ સ્પષ્ટપણે બદલાઈ ગઈ હતી. તેના હવાઈ મથકો પર સતત દબાણ અને તેના હવાઈ સંરક્ષણ નેટવર્કના નબળા પડવાને કારણે, પાકિસ્તાન હવે હવાઈ ક્ષેત્રમાં અસરકારક રીતે હુમલો કરવાની સ્થિતિમાં નહોતું. ભારતે વાસ્તવિક હવાઈ શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી હતી અને ઓપરેશનની ગતિ અને વિસ્તારને નિયંત્રિત કરવામાં સક્ષમ હતું. સ્વિસ વિશ્લેષકોનો નિષ્કર્ષ છે કે આ સમયે ઇસ્લામાબાદે યુદ્ધવિરામની માંગણી કરી હતી.
તાત્કાલિક લશ્કરી પરિણામો ઉપરાંત, અહેવાલમાં દલીલ કરવામાં આવી છે કે ઓપરેશન સિંદૂર ભારતના વ્યૂહાત્મક સિદ્ધાંતમાં એક વળાંક હતો. નવી દિલ્હીએ હવે સ્પષ્ટ કરી દીધું છે કે પાકિસ્તાન સ્થિત જૂથો દ્વારા ભવિષ્યમાં કરવામાં આવતા મોટા આતંકવાદી હુમલાઓને નોન સ્ટેટ એક્ટર્સ દ્વારા કરવામાં આવતા અલગ કૃત્યો તરીકે ગણવામાં આવશે નહીં, પરંતુ તેમને સમર્થન આપતા રાજ્ય માળખા સાથે અવિભાજ્ય રીતે જોડવામાં આવશે. જેનો અર્થ છે, ભવિષ્યમાં ઝડપી, વ્યાપક અને વધુ શક્તિશાળી બદલો.
ટૂંકમાં, પાકિસ્તાને સંઘર્ષની પહેલી રાત્રે ક્ષણિક વ્યૂહાત્મક અને પ્રચારિક સફળતા પ્રાપ્ત કરી હતી, પરંતુ આ સ્વતંત્ર સ્વિસ મૂલ્યાંકન મુજબ, એકંદર ઝુંબેશ ભારતની શ્રેષ્ઠ લશ્કરી શક્તિ, સ્થિતિસ્થાપકતા અને યુદ્ધવિરામ ક્ષમતાના પ્રદર્શન સાથે સમાપ્ત થઈ. રિપોર્ટ મુજબ, ઓપરેશન સિંદૂર માત્ર બદલો નહોતો, પરંતુ હવાઈ શક્તિનું નિર્ણાયક પ્રદર્શન હતું, જેણે ઉપખંડમાં વ્યૂહાત્મક સમીકરણને સંપૂર્ણપણે બદલી નાખ્યું હતું.





















