મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને અન્ય 4 લોકોના બુધવારે (28 જાન્યુઆરી 2026) સવારે પુણેના બારામતી એરપોર્ટ પાસે વિમાન દુર્ઘટનામાં કરુણ મોત નીપજ્યા છે. આ અકસ્માતે રાજ્યના રાજકારણમાં મોટી ખોટ ઉભી કરી છે, પરંતુ તેની સાથે જ અનેક ગંભીર પ્રશ્નો પણ સર્જાયા છે જેની તપાસ અત્યારે કેન્દ્ર સ્થાને છે.
26 મિનિટનો એ ઘટનાક્રમ જેણે બધું બદલી નાખ્યું
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુના જણાવ્યા અનુસાર, દુર્ઘટના સમયે વિઝિબિલિટી ઘણી ઓછી હતી. સવારે 8:18 વાગ્યે વિમાને બારામતી ATC સાથે સંપર્ક કર્યો હતો. રનવે ન દેખાવાને કારણે પાયલોટે એક ચક્કર લગાવ્યું હતું. બીજી કોશિશમાં રનવે દેખાયા બાદ 8:43 વાગ્યે લેન્ડિંગની પરવાનગી મળી, પરંતુ 8:44 વાગ્યે રનવે પાસે આગની લપટો જોવા મળી હતી.
તપાસના ઘેરામાં રહેલા 5 મુખ્ય સવાલો
1. અંતિમ મંજૂરી બાદ શું થયું?
વિમાનને 8:43 વાગ્યે ઉતરાણ માટે ગ્રીન સિગ્નલ મળી ગયું હતું, પરંતુ પાયલોટ તરફથી કોઈ વળતો સંદેશ (Read-back) મળ્યો નહોતો. બરાબર 2 મિનિટમાં વિમાન ક્રેશ થઈ ગયું. શું છેલ્લી ઘડીએ કોઈ સિસ્ટમ ફેલિયર થયું હતું?
2. ખરાબ હવામાન છતાં લેન્ડિંગનો પ્રયાસ કેમ?
જ્યારે વિઝિબિલિટી ઓછી હતી અને પ્રથમ પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો, ત્યારે શું પાયલોટે બીજા એરપોર્ટ પર વિમાન ડાયવર્ટ કરવું જોઈતું હતું? શું હવામાન લેન્ડિંગ માટે ખરેખર અનુકૂળ હતું?
3. રેડિયો સંપર્ક અચાનક કેમ તૂટ્યો?
લેન્ડિંગની મંજૂરી મળી ત્યાં સુધી પાયલોટ સતત સંપર્કમાં હતા. મંજૂરી મળ્યા બાદ તરત જ સંપર્ક તૂટી જવો એ કોઈ મોટી ટેક્નિકલ ખામી અથવા કોકપિટમાં પેદા થયેલી ઈમરજન્સી તરફ ઈશારો કરે છે.
4. શું ગો-અરાઉન્ડ દરમિયાન ખામી સર્જાઈ હતી?
દુર્ઘટનાગ્રસ્ત વિમાન પાસે તમામ કાયદેસરના સર્ટિફિકેટ હતા. તેમ છતાં, શું એન્જિનમાં ખામી, પક્ષી સાથે અથડામણ કે ફ્યુઅલ લીકેજ જેવી કોઈ સમસ્યા સર્જાઈ હતી? તે બ્લેક બોક્સના વિશ્લેષણ બાદ જ સ્પષ્ટ થશે.
5. શું સ્ટાન્ડર્ડ પ્રોસિજરનું પાલન થયું હતું?
શું વિમાન લેન્ડિંગ માટે નક્કી કરેલી ઝડપ અને ઊંચાઈ પર હતું? અનુભવી પાયલોટ કેપ્ટન સુમિત કપૂર પાસે 15000 કલાકનો ઉડાન અનુભવ હતો, છતાં શું પ્રોટોકોલના પાલનમાં કોઈ ચૂક રહી ગઈ હતી?
હવે સમગ્ર તપાસનો દરોમદાર 'બ્લેક બોક્સ' પર છે, જે ફ્લાઇટ ડેટા રેકોર્ડર અને કોકપિટ વોઇસ રેકોર્ડર દ્વારા અકસ્માતનું સાચું કારણ જાહેર કરશે.





















