ભારતીય ઇતિહાસના પાનાઓમાં માત્ર પરાજયની જ વાતો નથી, પરંતુ એવા ગૌરવશાળી પ્રકરણો પણ છે જેમાં વિદેશી તાકાતો લાચાર સાબિત થઈ હતી. બ્રિટિશ સૈન્ય શક્તિ જ્યારે તેના સર્વોચ્ચ શિખરે હતી, ત્યારે પણ ભારતના કેટલાક કિલ્લાઓ એવા હતા જે અજેય રહ્યા હતા. પોતાની અદ્ભુત સ્થાપત્યકળા, વ્યૂહાત્મક સ્થળ અને સ્થાનિક પ્રતિકારને કારણે આ કિલ્લાઓને તાકાતથી જીતવા અશક્ય સાબિત થયા હતા.
લોહગઢ કિલ્લો: બ્રિટિશ તોપો સામે અડગ
ભરતપુરમાં આવેલો લોહગઢ કિલ્લો ખરા અર્થમાં તેના નામ પ્રમાણે લોખંડી સાબિત થયો છે. બ્રિટિશ જનરલ લોર્ડ લેકે વર્ષ 1805માં આ કિલ્લા પર પાંચ વખત જોરદાર હુમલા કર્યા હતા. બ્રિટિશ સેનાએ તોપના અનેક ગોળા દાગ્યા હોવા છતાં આ કિલ્લાનું કશું જ બગડ્યું નહીં અને દરેક વખતે અંગ્રેજોને હારનો સામનો કરવો પડ્યો હતો.
મરૂદ જંજીરા: સમુદ્રની વચ્ચે અજેય દુર્ગ
અરબ સાગરમાં એક ખડક પર બનેલો મરૂદ જંજીરા કિલ્લો ચારે બાજુ પાણીથી ઘેરાયેલો છે. બ્રિટિશરો ઉપરાંત પોર્ટુગીઝ, ડચ અને મરાઠાઓએ પણ આ કિલ્લા પર વિજય મેળવવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ તમામ નિષ્ફળ રહ્યા હતા. આ કિલ્લાની વિશેષતા એ છે કે વર્ષ 1947માં ભારત આઝાદ થયું ત્યાં સુધી તે ક્યારેય કોઈની ગુલામીમાં આવ્યો નહોતો.
જૂનાગઢ અને કુંભલગઢની સુરક્ષા
સામાન્ય રીતે કિલ્લાઓ પહાડો પર હોય છે, પરંતુ જૂનાગઢનો કિલ્લો સપાટ જમીન પર હોવા છતાં દુશ્મનો ક્યારેય તેના દરવાજા તોડી શક્યા નથી. તેની વિશાળ દીવાલો અને મજબૂત સુરક્ષા ચક્રને કારણે બ્રિટિશરો તેને ક્યારેય સૈન્ય તાકાતથી જીતી શક્યા નહીં. તેવી જ રીતે રાજસ્થાનનો કુંભલગઢ કિલ્લો તેની 36 કિલોમીટર લાંબી દીવાલ માટે પ્રખ્યાત છે. તેની ઊંચાઈ અને સાંકડા પ્રવેશદ્વારોએ હુમલાખોરોને હંમેશા બહાર જ રાખ્યા હતા.
મેહરાનગઢ અને જેસલમેર: કુદરતી અને વ્યૂહાત્મક રક્ષણ
જોધપુરનો મેહરાનગઢ કિલ્લો ક્યારેય યુદ્ધમાં હાર્યો નથી. તેની ઉભી ચટ્ટાન અને ગુપ્ત દરવાજા હુમલાખોરો માટે જીવલેણ સાબિત થતા હતા. બ્રિટિશરો તેને જીતી ન શકતા આખરે તેમણે સંધિનો રસ્તો અપનાવવો પડ્યો હતો. બીજી તરફ, થારના રણની વચ્ચે આવેલો જેસલમેરનો કિલ્લો તેના ભૌગોલિક સ્થાનને કારણે સુરક્ષિત રહ્યો હતો. વેપારના માર્ગો પર નિયંત્રણ રાખતો આ કિલ્લો હંમેશા અંગ્રેજોની પકડથી દૂર રહ્યો અને આજે પણ લોકો આ કિલ્લાની અંદર વસે છે.





















