વડોદરાથી પાવાગઢ ફરવા ગયેલા ચાર શિક્ષકોમાંથી બે શિક્ષકો નર્મદા કેનાલમાં ડૂબી જતા ગુમ થઈ ગયા હોવાની કરુણ ઘટના સામે આવી છે. ઘટનાને 20 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં બંને શિક્ષકોનો કોઈ અતોપત્તો ન લાગતા સાથે ગયેલા મિત્રો તેમજ પરિવારજનોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે. હાલ હાલોલ ફાયર બ્રિગેડની ટીમ બોટની મદદથી સઘન શોધખોળ કરી રહી છે, જ્યારે જરોદ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

વડોદરામાં રહેતા વિદ્યુત પ્રસાદસિંગ, રાહુલ વિરેન્દ્ર યાદવ, શુભમ મિથિલેશકુમાર પાઠક અને અશિત જન્મેજયભાઈ ઓઝા રવિવારે કાર લઈને પાવાગઢ ફરવા ગયા હતા. ફર્યા બાદ જ્યારે ચારેય મિત્રો પાવાગઢથી વડોદરા પરત ફરી રહ્યા હતા, ત્યારે ખંડીવાળા નજીક આવેલી નર્મદા કેનાલ પાસે કાર રોકી પાળી પર બેઠા હતા. આ દરમિયાન રાહુલ યાદવ પગ ધોવા માટે કેનાલ કિનારે ગયા હતા. અચાનક પગ લપસતા તેઓ કેનાલમાં પડ્યા અને ડૂબવા લાગ્યા હતા. મિત્રને બચાવવા માટે શુભમ પાઠક તરત જ કેનાલમાં કૂદ્યા, પરંતુ પાણીના ભારે પ્રવાહમાં તેઓ પણ સંતુલન ગુમાવી બેઠા અને ડૂબવા લાગ્યા હતા.
બૂમાબૂમ સાંભળી કેનાલ કિનારે રહેલા વિદ્યુત પ્રસાદસિંગ અને અશિત ઓઝાએ બચાવ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ બંનેને તરતા આવડતું નહિ હોવાથી તેઓ લાચાર બની ગયા હતા. તેમની નજર સામે જ રાહુલ અને શુભમ લગભગ 100 મીટર સુધી પાણીમાં તણાયા બાદ કેનાલના પ્રવાહમાં ગરકાવ થઈ ગયા હતા.

ઘટનાની જાણ થતાંજ બંને બચી ગયેલા મિત્રોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. હાલોલ ફાયર ફાઈટર ટીમ તરત જ સ્થળ પર પહોંચી હતી અને રવિવારે સાંજ સુધી રેસ્ક્યુ ઓપરેશન ચલાવાયું હતું. અંધારું થતાં કામગીરી અટકાવવી પડી હતી, જ્યારે સોમવાર સવારથી ફરી બોટની મદદથી શોધખોળ શરૂ કરવામાં આવી છે. જોકે હજી સુધી બંને શિક્ષકોના કોઈ સગડ મળ્યા નથી.
રાહુલ યાદવ અને શુભમ પાઠક મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે અને વડોદરાની ખાનગી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ઘટના અંગે પરિવારજનોને જાણ થતાં તેઓ ઉત્તર પ્રદેશથી વડોદરા આવવા રવાના થયા છે. નોંધનીય છે કે શુભમ પાઠક સારા સ્વિમર હતા અને ગંગા નદી તરીને પાર કરી ચુક્યા હતા, છતાં નર્મદા કેનાલના તેજ પ્રવાહમાં તેઓ ડૂબી ગયા હોવાની માહિતી પોલીસ તપાસમાં સામે આવી છે.

બચી ગયેલા બંને શિક્ષક મિત્રો ગાઢ શોકમાં ગરકાવ થઈ ગયા છે અને કંઈ બોલી શકે તેવી સ્થિતિમાં નથી. સમગ્ર ઘટનાએ શિક્ષક સમુદાય તેમજ શહેરમાં ભારે શોકની લાગણી ફેલાવી છે.





















