Gujarat Rains: છેલ્લા બે દિવસથી ગુજરાતના વાતાવરણમાં આવેલા અચાનક પલટાએ જગતના તાતની ચિંતામાં મોટો વધારો કર્યો છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે થયેલા માવઠા, તોફાની પવન અને કરા પડવાને કારણે ખેતીના પાકને વ્યાપક નુકશાન થયું છે. તૈયાર થયેલો કોળિયો મોઢે આવતા પહેલા જ છીનવાઈ જતાં ખેડૂતો અત્યારે આર્થિક સંકટમાં મુકાયા છે.
ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ પાયમાલી
ખાસ કરીને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં કુદરતી આફતનો કહેર સૌથી વધુ જોવા મળ્યો છે. અહીં ખેતરોમાં તૈયાર થયેલા અને કાપણીના આરે ઉભેલા પાકોનો સોથ વળી ગયો છે. તમાકુ, ઘઉં, જીરૂ, વરિયાળી, અને ચણા, ઈસબગુલ, સુવા અને એરંડા જેવા કિંમતી પાકોમાં ભારે ધોવાણ થયું છે. ખેતરોમાં કાપીને રાખેલો માલ પલળી જવાથી ગુણવત્તા બગડી છે અને બજારમાં તેનો ભાવ મળવો મુશ્કેલ બન્યો છે.
તાત્કાલિક સર્વેની અનિવાર્યતા
પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલે ખેડૂતોનો મુદ્દો ઉઠાવ્યો છે અને તેમણે તાત્કાલિક સર્વે કરાવવા માંગ કરી છે. બીજી બાજુ ખેડૂતોની અત્યારે એક જ માંગ છે કે સરકાર તંત્રને સક્રિય કરી તાત્કાલિક ધોરણે સર્વેની કામગીરી હાથ ધરે. નુકશાનના આંકડાઓ જલ્દી મેળવીને ખેડૂતોને સીધી આર્થિક સહાય (વળતર) ચૂકવવામાં આવે તો જ તેઓ આગામી સીઝન માટે ઉભા થઈ શકશે. ખેડૂત પહેલેથી જ મોંઘા બિયારણ અને ખાતરના ભાર નીચે દબાયેલો છે, ત્યારે આ કુદરતી આફતે તેની કમર તોડી નાખી છે."
કાયમી ઉકેલ અને દેવા માફીની રજૂઆત
ગુજરાતનો ખેડૂત છેલ્લા કેટલાક સમયથી વારંવાર આવતી કુદરતી આફતો (અતિવૃષ્ટિ, વાવાઝોડું કે માવઠું)નો સામનો કરી રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને ખેડૂત સંગઠનો અને જાગૃત નાગરિકો દ્વારા નીચે મુજબની માંગણીઓ કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં એક વિશેષ આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે. ખેડૂતો પર વધી રહેલા દેવાના બોજને ઓછો કરવા માટે કેન્દ્ર સરકારમાં યોગ્ય રજૂઆત કરી દેવા માફીનો નિર્ણય લેવામાં આવે. પાક વીમાની રકમ સરળતાથી અને ઝડપથી ખેડૂતોના ખાતામાં જમા થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે.




















