સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા મળી છે. ચાર શંકાસ્પદ સિરિયન નાગરિકોએ ભારતમાં ટુરિસ્ટ વિઝા પર આવી ખોટી ઓળખ આપી મસ્જિદોમાંથી ફંડ ઉઘરાવવાનું કૌભાંડ ચલાવતું હોવાનો પર્દાફાશ થયો છે. સીરિયાના આ નાગરિકો થોડા સમય પહેલા અમદાવાદ આવ્યા હતા અને શાહઆલમ, જમાલપુર સહિતના વિસ્તારોમાં પેલેસ્ટાઈનની આફતના બહાને ફંડ ઉઘરાવતા હતા.
વિદેશ ફરાર થતા પહેલા દબોચી લીધા
આ અગાઉ આ ગુનામાં સંડોવાયેલા એક આરોપીની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં બાકીના ચાર આરોપીઓ ફરાર થઈ ગયા હતા. સુરક્ષા એજન્સીઓએ તેમની સામે લુકઆઉટ સર્ક્યુલર (LOC) જાહેર કર્યા બાદ, ત્રણ આરોપીઓ – અમદ ઓહેદ અલ્હબશ, ઝકરિયા હૈથમ અલઝહેર અને યુસુફ ખાલિદ અલઝહેર –ને દિલ્હી એરપોર્ટ પરથી વિદેશ ફરાર થતા પહેલા ઝડપી લેવામાં આવ્યા હતા.
3 હજાર અમિરકન ડોલર 3 મોબાઈલ જપ્ત
તપાસમાં સામે આવ્યું છે કે આ ત્રણેય શખ્સોએ ઉત્તર પ્રદેશ, કોલકાતા, દક્ષિણ ભારત અને અમદાવાદ જેવા શહેરોમાં ફરતાં તેમજ લોકો પાસે પેલેસ્ટાઈનના પીડિતોની મદદના નામે ફંડ ઉઘરાવવાનું કામ કર્યું હતું. તેઓ મસ્જિદોમાં ખોટી ઓળખ આપી લોકોને ભ્રમિત કરતા હતા. તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી 3,000 અમેરિકન ડોલર અને 3 મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે.
અન્ય 2 શખ્સોની ઓળખ કરવાની કામગીરી હાથ ધરાઈ
એજન્સીઓના જણાવ્યા મુજબ આરોપીઓ માત્ર અમદાવાદ જ નહીં પરંતુ દેશના અન્ય ભાગોમાં પણ આવા કૃત્યોમાં સંડોવાયેલા હતા. હવે આ ચાર શખ્સો સાથે ભારત આવેલા બીજા બે શખ્સોની ઓળખ કરવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે.