જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ગુજરાત રાજ્યના આરોગ્ય કમિશનર હર્ષદ પટેલની અધ્યક્ષતામાં ત્રિમાસિક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં હોસ્પિટલને લગતા અનેક મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આરોગ્ય કમિશનરની અધ્યક્ષતામાં બેઠક
આ બેઠક દરમિયાન દર્દી-લક્ષી સેવાઓમાં ગુણવત્તા સુધારવા, હોસ્પિટલની સુવિધાઓ વધારવા, ખાલી પડેલ જગ્યાઓ પર સ્ટાફની ભરતી પ્રક્રિયા ઝડપી કરવા, સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવા તેમજ આધુનિક ઉપકરણો અને જરૂરી સાધનોની ઉપલબ્ધિ વધારવા જેવા મુદ્દાઓ પર ભાર મૂકાયો હતો.
"હોસ્પિટલ દર્દીઓ માટે સેવા કેન્દ્ર છે"
જામનગર શહેર તથા આસપાસના વિસ્તારમાં ફેલાતી મોસમી રોગચાળો, ખાસ કરીને ડેન્ગ્યુ અને મલેરીયા જેવા મચ્છરજન્ય રોગો અંગે આરોગ્ય કમિશનર દ્વારા વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. અધિકારીઓને તાત્કાલિક અસરથી જરૂરી પગલાં લેવા. તેમજ પ્રજા જાગૃતિ અભિયાનને વધુ તેજ કરવા સૂચના આપવામાં આવી છે. હર્ષદ પટેલે અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, હોસ્પિટલ દર્દીઓ માટે સેવા કેન્દ્ર છે. દર્દીઓને સમયસર સારવાર, યોગ્ય દવાઓ, સુવિધાસભર વાતાવરણ અને માનવતા ભર્યો વ્યવહાર મળી રહે તે માટે તંત્રએ સંપૂર્ણ કાળજી લેવી જ જોઈએ.
બેઠકમાં ધારાસભ્યો રહ્યા હાજર
આ બેઠકમાં હોસ્પિટલના તમામ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ, મેડિકલ કોલેજના પ્રતિનિધિઓ તથા શહેરના ધારાસભ્યો રિવાબા જાડેજા અને દિવ્યેશ અકબરી પણ ઉપસ્થિત રહ્યા. ધારાસભ્યો દ્વારા હોસ્પિટલમાં ચાલી રહેલી ખામીઓ તથા દર્દીઓને વધુ સુવિધા મળી રહે તેવા મુદ્દાઓ પર રજૂઆતો કરવામાં આવી હતી. રોગી કલ્યાણ સમિતિના કાર્ય અને જવાબદારીઓને લઈ પણ ચર્ચા કરવામાં આવી હતી.