Bhavnagar News : ભાવનગર શહેરના તરસમિયા વિસ્તારમાં નવા વર્ષની શરૂઆત સાથે જ એક સનસનીખેજ હત્યાની ઘટના સામે આવી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. દરજીકામના વ્યવસાય સાથે સંકળાયેલા યુવાનની પૈસાની લેતીદેતી બાબતે થયેલી બોલાચાલી અંતે જીવલેણ હુમલામાં ફેરવાઈ હતી. આ ઘટનામાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને હત્યામાં સંડોવાયેલા આરોપીને ઝડપી લઈ ઘટના સ્થળે રીકન્ટ્રક્શન પણ કર્યું છે.
તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો
પ્રાપ્ત વિગતો મુજબ તરસમિયા ગામના રામજી મંદિર પાસે રહેતા 40 વર્ષીય સુરેશભાઈ બુધાભાઈ ડાભી 3 તારીખની રાત્રે અંદાજે દસ વાગ્યાના સમયે તરસમિયા-ખારસી રોડ પરથી પીરની દરગાહ નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન વિપુલ બારૈયા નામના શખ્સે તેમને રસ્તામાં આંતરી તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા સુરેશભાઈને તાત્કાલિક ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું કરુણ અવસાન થયું હતું.
'આરોપીએ છરીના ઘા મારી હત્યા કરી'
બનાવ અંગે ઇન્ચાર્જ ડીવાયએસપી આર. વી. ડામોરે જણાવ્યું હતું કે, મૃતક સુરેશભાઈ કાપડનો ધંધો કરતા હતા અને તેઓ માલણકા ગામે આરોપી વિપુલ કાંતિભાઈ બારૈયાના ભાભી પાસે ટેલરિંગનું કામ કરાવતા હતા. સિલાઈકામના બાકી રહેલા પૈસાની ઉઘરાણી માટે આરોપીને તેના ભાભીએ મોકલ્યો હતો. આ મુદ્દે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી, જે બાદમાં ઉગ્ર તકરારમાં ફેરવાઈ અને અંતે આરોપીએ છરીના ઘા મારી હત્યા કરી હતી.
આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર
ઘટનાની જાણ થતાં જ ભરતનગર પોલીસ સ્ટેશનના પીઆઈ કુરેશી સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલ તેમજ ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી અને હત્યામાં સંડોવાયેલા વિપુલ બારૈયાને ઝડપી લીધો હતો. આરોપીને કોર્ટમાં રજૂ કરતાં ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. રિમાન્ડ દરમિયાન પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રીકન્ટ્રક્શન કરી વધુ તપાસ હાથ ધરી છે.





















