કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશકુમાર સિંહ અને તેમની પત્ની રાજેશ્વરી બાના આકસ્મિક મોતના બનાવમાં અંતે મોટો વળાંક આવ્યો છે. પોલીસ તપાસ બાદ હવે આ મામલે મૃતક યશકુમાર સિંહ સામે પત્નીની હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. અગાઉ આ કેસમાં અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો હતો, પરંતુ તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ નવો વળાંક આવ્યો છે.
ACP ફરિયાદી બન્યા
પોલીસ મુજબ, અગમ્ય કારણોસર યશકુમાર સિંહે પોતાની પત્ની રાજેશ્વરી પર રિવોલ્વરથી ફાયરિંગ કરી માથામાં ગોળી મારી હત્યા કરી હતી, અને ત્યારબાદ પોતે પણ માથામાં ગોળી મારી આપઘાત કર્યો હતો. આ ઘટનામાં બંનેના મોત થયા હતા. ફાયરિંગ કેસમાં હવે મૃતક યશકુમાર સિંહ સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં ACP ફરિયાદી બન્યા છે.
રિપોર્ટ બાદ પોલીસે કેસની તપાસ દિશા બદલી
પોલીસે શરૂઆતમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ (PM Report) તપાસવામાં આવતા ખુલાસો થયો કે બંનેના મોતનું કારણ માથામાં વાગેલી ગોળીના કારણે થયેલ શોક અને હેમરેજ હોવાનું સામે આવ્યું. આ રિપોર્ટ બાદ પોલીસે કેસની દિશા બદલી.
પોલીસને શંકા!
પોલીસે સ્પષ્ટ જણાવ્યું છે કે રિવોલ્વર આકસ્મિક રીતે ચાલે તે શક્ય નથી, કારણ કે રિવોલ્વરના ટ્રિગર પર ચોક્કસ પ્રકારનું અને ચોક્કસ રીતે બળ વાપર્યા વિના ગોળી છૂટી શકે નહીં. આ તારણના આધારે પોલીસે સ્પષ્ટ કર્યું છે કે યશકુમાર સિંહે જ પત્નીને જાનથી મારવાના ઇરાદે રિવોલ્વરથી માથામાં ગોળી મારી હત્યા કરી હતી, અને ત્યારબાદ પોતે પણ આત્મહત્યાનું પગલું ભર્યું હતું.
મૃતકોના મોબાઇલ ફોનનો રિપોર્ટ આવ્યા બાદ થશે ખુલાસો
હાલ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)માંથી બંને મૃતકોના મોબાઇલ ફોનનો રિપોર્ટ આવ્યા બાદ આ ઘટનાને લઈને વધુ નક્કર માહિતી સામે આવવાની શક્યતા છે. સમગ્ર ઘટનાએ રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચકચાર જગાવી છે.





















