ભારતના ચૂંટણી પંચ દ્વારા આણંદ જિલ્લામાં સમાવિષ્ટ ઉમરેઠ વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે તા.30 માર્ચ, 2026 ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. જ્યારે તા.23 એપ્રિલ, 2026 ના રોજ મતદાન તથા તા.4 મે, 2026 ના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.
ભારતના ચૂંટણી પંચ દ્વારા ગોવા, કર્ણાટક, મહારાષ્ટ્ર, નાગાલેન્ડ અને ત્રિપુરા રાજ્યોની વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી સહિત ગુજરાતની ઉમરેઠ બેઠક માટે પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત ઉમરેઠ વિધાનસભા બેઠક માટે તા.30 માર્ચ, 2026 થી તા.06એપ્રિલ, 2026 સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય ઉમેદવારીપત્રો ભરી શકાશે. ઉમરેઠ બેઠકની પેટા ચૂંટણી સંદર્ભે તા.15 માર્ચ, 2026 થી આદર્શ આચાર સંહિતા લાગુ પડશે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના અવસાનના કારણે આ વિધાનસભા બેઠક ખાલી પડી હતી.
• તા.30મી માર્ચ, 2026 ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ થશે.
• તા.6ઠ્ઠી એપ્રિલ, 2026 સુધીમાં ઉમેદવારી પત્રક ભરી શકાશે
• તા.7મી એપ્રિલ, 2026 ના રોજ ઉમેદવારી પત્રકોની ચકાસણી થશે.
• તા.9મી એપ્રિલ, 2026 સુધીમાં ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે.
• તા.23મી એપ્રિલ, 2026 ના રોજ મતદાન યોજાશે.
• તા.4 થી મે, 2026 ના રોજ પરિણામ જાહેર થશે.




















