બનાસકાંઠાના ધાનેરા તાલુકાને રાજ્ય સરકાર તરફથી મહત્વપૂર્ણ ભેટ મળી છે. વિસ્તારમાં પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા માટે દાંતીવાડા ડેમ અને સીપુ ડેમને કાચી કેનાલ મારફતે ઇન્ટરલિંકિંગ કરવાની યોજના મંજૂર કરવામાં આવી છે.
આ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારે અંદાજે રૂ.119 કરોડની વહીવટી મંજૂરી આપી છે. આ નિર્ણયથી ધાનેરા અને આસપાસના વિસ્તારોમાં સિંચાઈ અને પાણી વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ધારાસભ્ય માવજી દેસાઈની લાંબા સમયથી માગ
આ યોજના માટે માવજી દેસાઇ સતત રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી રહ્યા હતા. તેમની સતત માંગ અને પ્રયત્નોના પરિણામે સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.
ખેડૂતોને મળશે મોટો લાભ
દાંતીવાડા અને સીપુ ડેમને જોડતી કેનાલના ઇન્ટરલિંકિંગથી વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે વધુ પાણી ઉપલબ્ધ થશે. જેના કારણે કૃષિ ઉત્પાદન વધશે અને ખેડૂતોને રાહત મળશે.
વિવિધ પ્રશ્નો અંગે ધારદાર રજૂઆત
ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ દ્વારા ધાનેરા અને દાંતીવાડા વિસ્તારના અનેક વિકાસકાર્યો અને પાણી સંબંધિત પ્રશ્નો અંગે સરકાર સમક્ષ વારંવાર રજૂઆત કરવામાં આવી છે. આ યોજના અમલમાં આવતા વિસ્તારના પાણી સંચાલનમાં સુધારો થવાની અને ખેડૂતોને સીધો લાભ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.




















