મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાના પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાતે છે. આજે પ્રવાસના બીજા દિવસે વાવના માડકા ગામે પહોંચ્યા હતા. જ્યાં તેમણે સ્થાનિક લોકો સાથે સંવાદ સાંધ્યો હતો. માડકા ગામના સ્થાનિક લોકોએ પોતાની મુશ્કેલી અને રજૂઆત મુખ્યમંત્રી સમક્ષ મૂકી હતી. વહીવટી તંત્ર દ્વારા કપરી પરિસ્થિતિમાં આપેલી સેવાઓ બદલ સ્થાનિક લોકોએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
CMએ રાત્રી રોકાણ પણ વાવમાં જ કર્યું હતું
મુખ્યમંત્રીએ વરસાદી પાણી ભરાયેલા વિસ્તારોમાં વરસાદથી ઊભી થયેલી સ્થિતિથી અવગત થયા હતા. મુખ્યમંત્રીએ અસરગ્રસ્ત બનાસકાંઠા જિલ્લાના વાવમાં ગુરુવારે રાત્રી રોકાણ કરીને ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો અને પરિસ્થિતિની વિગતો મેળવી હતી.
296 જેટલા ગામોને આ ભારે વરસાદથી અસર પહોંચી
સુઈગામ સહિતના સરહદી ગામોમાં કનેક્ટિવિટી પૂર્વવત કરવાના આયોજનને અગ્રતા આપવા તેમણે વહીવટી તંત્રને જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ પૂરની આવી સ્થિતી વારંવાર ન સર્જાય તે માટે લાંબાગાળાના નિવારણ આયોજનની આવશ્યક્તા સમજાવી હતી. આ સમિક્ષા બેઠકમાં બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહીર પટેલે સુઈગામ, વાવ, થરાદ અને ભાભરમાં 3416 ચોરસ કિલોમીટર વિસ્તારના 296 જેટલા ગામોને આ ભારે વરસાદથી અસર પહોંચી હોવાની વિગતો પ્રેઝન્ટેશન દ્વારા આપી હતી.
181થી વધુ ગામોમાં પુરવઠો પૂર્વત થઈ ગયો
અસરગ્રસ્ત વિસ્તારોમાં રેસ્ક્યુ અને સ્થળાંતરની વિગતો આપતા આ પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું હતું કે, 4 તાલુકાઓમાં કુલ 228 લોકોનું રેસ્ક્યુ અને 6800થી વધુ અસરગ્રસ્તોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવેલું છે. એટલું જ નહીં, એન.ડી.આર.એફ.ની 2 ટીમ અને એસ.ડી.આર.એફની 3 ટીમ સ્થાનિક પ્રશાસનની મદદ માટે તૈનાત છે. રાજ્ય સરકાર દ્વારા 15 કિલો ખાદ્ય સામગ્રીની એક એવી 18 હજાર કીટ્સ અસરગ્રસ્ત વિસ્તારોમાં નાગરિકોને પહોંચાડવા માટે રવાના કરવામાં આવી છે. આ ઉપરાંત અઢી લાખ ફૂડ પેકેટ અને 3 લાખ પાણીની બોટલ અત્યાર સુધીમાં અસરગ્રસ્તોને પૂરી પાડવામાં આવી છે. અસરગ્રસ્ત તાલુકાઓમાં બધા જ સબ સ્ટેશનમાં વીજ પુરવઠો કાર્યરત છે અને 213 ગામોમાં વીજ પુરવઠાને અસર પડી હતી