વારાણસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરિશિયસના વડાપ્રધાન ડો. નવીનચંદ્ર રામગુલામ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક કરી હતી. જેમાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો મામલે વિવિધ ચર્ચા થઈ હતી. બંને દેશોએ પોતાના સ્થાનિક ચલણમાં વેપારને મંજૂરી આપવા સહમતિ દર્શાવી હતી. બંને દેશોના વડાએ ચાગોસ કરાર સંપન્ન થવા પર શુભકામના પાઠવી હતી. મોરિશિયસ વડાપ્રધાન નવિનચંદ્ર રામગુલામ ભારતની મુલાકાતે છે. વારાણસીમાં તેમનું ભવ્ય સ્વાગત થયુ હતું.
મોરિશિયસના વડાપ્રધાન ભારતની મુલાકાતે
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, ગતવર્ષે મોરિશિયસમાં યુપીઆઈ અને રૂપે કાર્ડ સર્વિસ શરૂ કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે બંને દેશોના નાગરિકો અને વેપારીઓ સરળતાથી સ્થાનિક ચલણમાં જ ટ્રાન્ઝેક્શન કરી શકશે.
વડાપ્રધાન મોદીએ ખાસ આર્થિક પેકેજ રજૂ કર્યું છે. આ પેકેજ હેઠળ 500 બેડની સર સીવુસગુર રામગુલમ નેશનલ હોસ્પિટલ, વેટરનિટી સ્કૂલ અને એનિમલ હોસ્પિટલ અને આયુષ સેન્ટર ઓફ એક્સેલન્સ સહિતના પ્રોજેક્ટમાં ફંડ ફાળવશે. જે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવાની સાથે રોજગારીની તકોનું સર્જન કરશે. જે હેલ્થકેર સુવિધામાં સુધારો કરશે.
ભારત મોરિશિયસને 100 ઈલેક્ટ્રિક બસ ફાળવશે
બંને દેશો વચ્ચે એનર્જી ટ્રાન્ઝિશન પાર્ટનરશીપ પણ છે. ભારત મોરિશિયસને 100 ઈલેક્ટ્રિક બસ ફાળવવાનું છે. જેમાંથી 10 બસનો સપ્લાય થઈ ચૂક્યો છે. વડાપ્રધાન મોદીએ ટમરિન્ડ ફોલ્સ ખાતે 17.5 મેગાવોટ ફ્લોટિંગ સોલાર પાવર પ્લાન્ટ સ્થાપિત કરવા આર્થિક સહાય આપવાની ખાતરી પણ આપી છે.