Vadodara Crime News : વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાંથી ઘર છોડીને ગયેલી 14 વર્ષની કિશોરીના અપહરણ અને દુષ્કર્મનો ગંભીર મામલો સામે આવ્યો છે. ધોરણ 8માં અભ્યાસ કરતી કિશોરીએ “મારે ભણવું નથી, તમારી જોડે રહેવું નથી, હું મારી મરજીથી જઉં છું” તેવી ચિઠ્ઠી લખીને ઘર છોડ્યું હતું, પરંતુ પોલીસ તપાસમાં ખુલ્યું છે કે તેને લગ્નની લાલચ આપી અપહરણ કરવામાં આવ્યું હતું.
“મારે ભણવું નથી”
મળતી માહિતી મુજબ, કિશોરી ગત તા. 20ના રોજ ઘરેથી નીકળી ગઈ હતી. જતા પહેલાં તેણે પરિવાર માટે ચિઠ્ઠી લખી હતી, જેમાં સ્કૂલમાંથી એલ.સી. લઈ લેવા અને તે પોતાની મરજીથી એકલી રહી જશે તેમ જણાવ્યું હતું. પરિવારજનોએ પોતાની રીતે શોધખોળ કરી હતી, પરંતુ કોઈ માહિતી ન મળતાં મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તપાસ દરમિયાન કિશોરી અરવલ્લી જિલ્લાના ભિલોડા પોલીસ સ્ટેશનમાંથી મળી આવી હતી. કિશોરીની પૂછપરછમાં ખુલ્યું હતું કે અરવલ્લીના ભિલોડા તાલુકાના જેસીંગપુર ગામનો રહેવાસી મયૂર અળખાભાઈ કટારાએ તેને લગ્ન કરવાની લાલચ આપી ટ્રકમાં શામળાજી લઈ ગયો હતો. ત્યારબાદ આરોપી તેને પોતાના વતન લઈ ગયો અને પછી ભિલોડા પોલીસ સ્ટેશન પાસે મૂકી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
14 વર્ષની કિશોરીનું અપહરણ અને દુષ્કર્મનો આરોપી ઝડપાયો
કિશોરી નાબાલિક હોવાને કારણે પોલીસે કેસમાં પોક્સો એક્ટ તેમજ બળાત્કારની ગંભીર કલમો ઉમેરતા મામલો વધુ સંવેદનશીલ બન્યો છે. મકરપુરા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય માહિતીના આધારે આરોપી મયૂર અળખાભાઈ કટારાને ઝડપી પાડ્યો છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનાએ નાબાલિકોની સુરક્ષા અને શિક્ષણ પ્રત્યે જાગૃતિની જરૂરિયાતને ફરી એકવાર ઉજાગર કરી છે. પોલીસે કિશોરીને સુરક્ષિત આશ્રયમાં મોકલી આગળની તપાસ ચાલુ રાખી છે.





















