અમદાવાદ: માર્ચ મહિનાની શરૂઆતથી જ કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહેલા ગુજરાત સહિત ઉત્તર ભારતના હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. આકાશમાં વાદળોના સામ્રાજ્ય અને ઠંડા પવનોને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે, જેનાથી સામાન્ય જનતાને ગરમીથી તો રાહત મળી છે, પરંતુ ખેડૂતો માટે આ આફતના એંધાણ સાબિત થઈ રહ્યા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ દેશના 17 રાજ્યો માટે ભારે પવન, ગાજવીજ સાથે વરસાદ અને કરા પડવાની ગંભીર ચેતવણી જારી કરી છે. પશ્ચિમી વિક્ષેપ (Western Disturbance) અને ભેજવાળા પવનોના મિશ્રણથી સર્જાયેલી આ સિસ્ટમ આગામી 72 કલાક સુધી સક્રિય રહેવાની શક્યતા છે.
ગુજરાતના અનેક વિસ્તારોમાં છેલ્લા ૨૪ કલાકમાં હળવો વરસાદ અને કરા પડવાની ઘટનાઓ સામે આવી છે. 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનને કારણે ઉભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. વહીવટી તંત્ર દ્વારા માછીમારો અને ખેડૂતોને હાઈ એલર્ટ પર રહેવા સૂચના આપવામાં આવી છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર: શા માટે બદલાયું હવામાન?
હવામાન વિભાગના વિશ્લેષણ મુજબ, મજબૂત પશ્ચિમી વિક્ષેપ અને અરબી સમુદ્ર તેમજ બંગાળની ખાડીમાંથી આવતા ભેજને કારણે આ રાષ્ટ્રવ્યાપી પરિવર્તન આવ્યું છે. આ સિસ્ટમને કારણે દિલ્હી, પટના અને કોલકાતા જેવા મોટા શહેરોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. પશ્ચિમ ભારતના મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને ગોવામાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ અસ્થિર હવામાનને કારણે દિવસ દરમિયાન પણ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.
ખેડૂતો માટે ચિંતાનો વિષય: તૈયાર પાક પર જોખમ
માર્ચ મહિનો એ રવિ પાકની લણણીનો સમય હોય છે. ઘઉં, જીરું અને રાયડો જેવા પાક જ્યારે ખેતરમાં તૈયાર ઉભા છે, ત્યારે કમોસમી વરસાદ અને કરા પડવાથી ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ જવાની દહેશત છે. ખાસ કરીને કરા પડવાને કારણે પાક ખરી જવાની અને પવનને કારણે પાક ઢળી પડવાની સમસ્યા સર્જાઈ શકે છે. હવામાન વિભાગે આગામી ૩ થી ૫ દિવસ અત્યંત સાવધ રહેવા સલાહ આપી છે.
ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ?
હવામાન વિભાગના શુક્રવારના રિપોર્ટ મુજબ, ગુજરાતમાં હવે વરસાદની શક્યતા નહિવત છે. જોકે, વાદળછાયું વાતાવરણ હજુ થોડો સમય રહી શકે છે. આગામી એક સપ્તાહમાં રાજ્યના લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ધીરે-ધીરે 3 થી 5 ડિગ્રીનો વધારો નોંધાશે. એટલે કે, કમોસમી પલટા બાદ હવે ફરીથી ઉનાળો પોતાનો અસલી મિજાજ બતાવશે અને ગરમીનો પારો ઊંચકાશે.
વીજળી અને વાવાઝોડાથી બચવા સાવચેતી જરૂરી
તીવ્ર વીજળી પડવી અને વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને તંત્રએ લોકોને સુરક્ષિત સ્થળે રહેવા અપીલ કરી છે. વીજળી ગુલ થવાની કે રસ્તાઓ પર પાણી ભરાવવાની સમસ્યાનો સામનો કરવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમોને તૈનાત કરવામાં આવી છે. 48 થી 72 કલાક દરમિયાન બિનજરૂરી બહાર ન નીકળવા અને હવામાનના લાઈવ અપડેટ્સ ચેક કરતા રહેવા જણાવાયું છે.




















