ગુજરાત વિધાનસભા ગૃહના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 15મી વિધાનસભાના સાતમાં સત્રના પ્રથમ દિવસે શોકદર્શક ઉલ્લેખો દ્વારા પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઇ રમણિકલાલ રૂપાણી અને અમદાવાદની વિમાન દુર્ઘટનામા અવસાન પામેલા દિવંગતો તેમજ પૂર્વ દિવંગત સભ્યોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
આ સત્રના પ્રથમ દિવસે રજૂ થયેલા શોકદર્શક ઉલ્લેખોમાં ગૃહના નેતા તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણી, ગુજરાતના પૂર્વ મંત્રી સ્વ. હેમાબેન સૂર્યકાંત આચાર્ય, ગુજરાતના પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી સ્વ. ઇશ્વરસિંહ શિવાજી ચાવડા અને સ્વ. નૂરજહાંબખ્ત મોહમ્મદ ઈબ્રાહીમખાન બાબી, ગુજરાતના પૂર્વ નાયબમંત્રી સ્વ. પ્રો. બળવંતરાય બચુલાલ મણવર તથા ગુજરાતના પૂર્વ સભ્યો સ્વ. ભૂપેન્દ્રકુમાર સેવકરામ પટણી અને સ્વ. રણછોડભાઇ કરસનભાઇ મેરને શ્રદ્ધાંજલિ આપી હતી.
છબિના અનાવરણ કરી
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીની છબિના અનાવરણ વેળાએ રાજ્યમંત્રી મંડળના મંત્રીઓ અને ધારાસભ્યોએ સ્વર્ગસ્થને ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રી તરીકે રાજ્યના વિકાસમાં આપેલા યોગદાનની સરાહના કરી હતી.મુખ્યમંત્રીએ અમદાવાદ માં થયેલી વિમાન દુર્ઘટના ની કરુણાંતિકાના સૌ દિવંગત મુસાફરોને પણ ભાવાંજલિ અર્પણ કરી હતી.તેમણે સૌ દિવંગત પૂર્વ ધારાસભ્યોની જાગતિક જન પ્રતિનિધિ તરીકેની સેવાઓને બિરદાવીને તેમના આત્માઓની પરમ શાંતિની પ્રભુ પ્રાર્થના કરી હતી.
વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, રાજ્યમંત્રી મંડળના મંત્રીઓ અને કોંગ્રેસ નેતા અમિત ચાવડા તથા સત્તાપક્ષ અને પ્રતિપક્ષના ધારાસભ્યોએ પણ આ શોકદર્શક ઉલ્લેખોમાં જોડાઈને સૌ દિવંગત પૂર્વ સભ્યોને અને વિમાન દુર્ઘટનાના મૃતકોને ભાવાંજલિ આપી હતી.સભાગૃહે આ સૌ પૂર્વ સ્વર્ગસ્થ સભ્યઓના અવસાન અંગે બે મિનીટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી.