ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને શરતી જામીન મળતાં આજે (24 સપ્ટેમ્બર) વડોદરા સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કારવામાં આવ્યા છે. વહેલી સવારથી જ વડોદરા જેલ બહાર મોટા પ્રમાણમાં સમર્થકો પહોંચ્યા હતા. જેલની ચૈતર વસાવા જેલની બહાર આવતાં જ સમર્થકોએ ખભા પર બેસાડી સ્વાગત કર્યું હતું. હાઈકોર્ટ દ્વારા તેમની ચોક્કસ શરતો સાથે જામીન મંજૂર કરવામાં આવ્યા છે. તેઓ લગભગ અઢી મહિના બાદ જેલમાંથી બહાર આવ્યા છે. જેલ બહાર સમર્થકો ઊમટી પડતાં પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
ધારાસભ્ય ચૈતર વસાવાનું સ્વાગત કરવા પ્રદેશ સહ પ્રભારી ગુલાબસિંહ યાદવ, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ હાજરી આપી હતી. આ સાથે AAP નેતાઓ, કાર્યકર્તાઓ સહિત આદિવાસી સમાજના આગેવાનો અને ખૂબ જ મોટી સંખ્યામાં યુવાનો ધારાસભ્ય ચૈતર વસાવાનું સ્વાગત કરવા પહોંચ્યા હતા.
જેલમાંથી બહાર આવીને ચૈતર વસાવાએ કહ્યું, "ષડયંત્ર કરીને મારા પર ખોટા કેસ દાખલ કરવામાં આવ્યા છે, મારી ફરિયાદ લેવામાં આવી નહીં અને મારા પર હાફ મર્ડરની 307ની કલમ લગાવીને મને 80 દિવસ સુધી જેલમાં રાખ્યો. "
વધુમાં તેમણે ઉમેર્યું, "મને જેલમાં રાખવા પાછળ ભાજપ અને પોલીસ પ્રશાસનનો હાથ છે, અમારા અવાજને દબાવવાની કોશિશ કરવામાં આવી, અમે દબાઈશું નહીં. ગુજરાતની જનતાએ અને સંવિધાને આપેલો અવાજ છે, આ અવાજ ક્યારેય દબાશે નહીં. તમામ હકીકતો બહાર આવશે અને સત્યનો વિજય થશે."
આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું, "307ની કલમ લાગુ થાય તેવી કોઈ ઘટના ઘટી નથી, શા માટે તે લોકો સીસીટીવી ફૂટેજ જાહેર કરતા નથી?' આ સાથે જ ધરસભ્યએ જનતાનો આભાર વ્યક્ત કરતાં કહ્યું, જનતાનો અને રાજકીય તથા સામાજિક લોકોનો જે સહકાર મળ્યો છે સૌનો આભાર, સાથે મળીને આગળ વધતા રહીશું"
પોસ્ટ મેટ્રિક, શિષ્યવૃત્તિ, મનરેગા યોજના, આવાસ યોજના, કરાર આધારિત ફિક્સ પગાર, આઉટસોર્સિંગ કર્મચારીના મુદ્દા ઉઠાવ્યા માટે મને ખોટા કેસમાં ફસાવ્યો ચૈતર વસાવાએ કહ્યું.
5 જુલાઈ 2025થી કેસ ચાલે છે
અત્ર જણાવીએ કે, 5 જુલાઈ 2025થી ધારાસભ્ય ચૈતર વસાવા થપ્પડકાંડ કેસમાં જેલમાં બંધ હતા. ધારાસભ્ય ચૈતર વસાવાના વકીલ મારફતે અગાઉ પણ જામીન અરજી કરવામાં આવી હતી, તે સમયે સુનાવણીની તારીખ પણ પડી હતી.
અગાઉ રાજપીપળા કોર્ટે જામીન અરજી ફગાવી હતી
ચૈતર વસાવાને અગાઉ નર્મદા પોલીસ દ્વારા રાજપીપળા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી પંરતુ કોર્ટે રિમાન્ડ નામંજૂર કર્યા હતા, ચૈતર વસાવાના વકીલ દ્વારા રજૂ કરવામાં આવેલ જામીન અરજી પણ કોર્ટ દ્વારા રિજેક્ટ કરવામાં આવી હતી અને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો હતો. જેથી ચૈતર વસાવાના વકીલો દ્વારા સેશન્સ કોર્ટમાંથી જામીન મેળવવાનું નક્કી કર્યું હતું પરંતુ જામીન અરજી રજૂ કરવા માટે દસ્તાવેજી ડખો નડી ગયો હતો. નીચલી કોર્ટમાંથી સેશન્સ કોર્ટમાં આ કેસના દસ્તાવેજો નહીં પહોંચ્યા જેથી જામીન અરજીની જરૂરી કાનૂની પ્રક્રિયા થઈ શકી નહીં. ત્યારબાદ ફરી કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી પરંતુ પોલીસે એફિડેવિટ મંજૂર કર્યો ન હતો. ત્યારબાદ સમગ્ર મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો.
જાણો સમગ્ર કેસ?
5 જુલાઈ 2025ના સાંજે ડેડિયાપાડા પ્રાંત કચેરી ખાતે એટીવીટી સંકલન બેઠક હતી. જે દરમિયાન તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા અને ચૈતર વસાવા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે મામલો બિચક્યો અને સીધો જ પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો. જે મામલે ચૈતર વસાવાની અટકાયત બાદ ધરપકડ કરવામાં આવી હતી. જેમાં ચૈતર વસાવા સામે અભદ્ર ભાષા બોલવાનો અને પોલીસ સાથે ગેરવર્તણૂંક કરવાનો પણ આક્ષેપ થયો. ચૈતર વસાવાની અટકાયત કરવામાં આવતા તેમના સમર્થકો એકઠા થઈ ગયા હતા અને સૂત્રોચાર સાથે ઉગ્ર વિરોધ કર્યો હતો. આ સમગ્ર કેસ મામલે પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, (5 જુલાઈએ) 3 વાગ્યે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા ત્યાંથી નર્મદાના રાજપીપળાની એલસીબીની ઓફિસ ખાતે લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમના સમર્થકોએ ગાડી સામે હંગામો મચાવ્યો હતો જેના કારણે વાતાવરણ તંગ બન્યું હતું. જો કે, આ બધાની વચ્ચે પોલીસ તેમને રાજપીપળા લઈ ગઈ હતી, ત્યારે ગઈકાલે ચૈતર વસાવાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં રિમાન્ડ નામંજૂર થયા હતા તેમજ તેમની જામીન અરજી પણ રિજેક્ટ થઈ હતી. ત્યારથી સમગ્ર કેસ ચાલી રહ્યો છે, ત્યારે હવે કોર્ટે વિધાનસભા સત્રને લઈ પેરોલ મંજૂર કર્યા હતા. ત્યારે હવે કોર્ટે જામીન મંજૂર કર્યા છે