Ahmedabad News: ગુજરાતના રાજકારણમાં આરોપ-પ્રત્યારોપનો સિલસિલો તેજ બન્યો છે. તાજેતરમાં કોંગ્રેસના મહિલા નેતા જેની ઠુમ્મરે સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રદેશ ભાજપના નેતૃત્વ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે પ્રદેશ ભાજપના પદાધિકારી જગદીશ પંચાલને સંબોધીને તીખા સવાલો કર્યા છે, જેના કારણે રાજકીય ગરમાવો આવી ગયો છે.
"કોંગ્રેસે જનતાને ભ્રમિત નથી કરી"
જેની ઠુમ્મરે ભાજપની કાર્યશૈલી પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, કોંગ્રેસે દેશને ક્યારેય પોકળ વચનો આપીને લૂંટ્યો નથી. તેમણે ઉમેર્યું કે, "કોંગ્રેસે દેવું કરીને લોકોને ભરમાવવા માટે ક્યારેય ખોટા દેખાડા કર્યા નથી, કે પછી સત્તા મેળવવા માટે ખોટા ઇતિહાસ ઊભા કરવાની નિમ્ન ચેષ્ઠા પણ નથી કરી."
યુવાનો અને લોકશાહીના મુદ્દે ઘેર્યા
ભાજપ સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, કોંગ્રેસે ક્યારેય વિપક્ષ કે જનતાનો અવાજ દબાવવાનો પ્રયત્ન કર્યો નથી. તેમણે ગંભીર આરોપ લગાવ્યો કે વર્તમાન શાસનમાં યુવાનોને દિશાવિહીન કરવામાં આવ્યા છે. શિક્ષણ અને આરોગ્ય જેવા પાયાના મુદ્દાઓ પર વાત કરતા તેમણે જણાવ્યું કે, ભાજપે માત્ર ધારાસભ્યોની ખરીદી કરવામાં જ રસ દાખવ્યો છે. જેની ઠુમ્મરે વધુમાં જણાવ્યું હતું કે 30 વર્ષના શાસન પછી પણ જો તમારે વારંવાર 'કોંગ્રેસ-કોંગ્રેસ' કરવું પડતું હોય, તો તે તમારી નિષ્ફળતા દર્શાવે છે.
કૂતરા અને ગાડાના દ્રષ્ટાંતથી કટાક્ષ
જેની ઠુમ્મરે એક પ્રચલિત કહેવતનો ઉપયોગ કરીને ભાજપના અહંકાર પર પ્રહાર કર્યો હતો. તેમણે લખ્યું કે, "ગાડા નીચે કૂતરૂ ચાલતું હોય તો કૂતરાને એમ જ લાગે કે ગાડું હું જ હંકારું છું." આડકતરી રીતે તેમણે સૂચવ્યું કે ભાજપ વિકાસનો જે શ્રેય લઈ રહી છે તેની પાછળની વાસ્તવિકતા કંઈક અલગ છે.
ઇતિહાસ જાણવાની આપી સલાહ
પોતાની પોસ્ટના અંતમાં તેમણે વધુ આક્રમક વલણ અપનાવતા કહ્યું કે, જો ભાજપના નેતાઓને કોંગ્રેસના કામો વિશે વધુ માહિતી જોઈતી હોય, તો તેમણે પોતાના જ પરિવારમાં વડીલો કે બાપદાદા પાસેથી પૂછવું જોઈએ, કારણ કે તેઓ જાણે છે કે દેશનું નિર્માણ કોણે કર્યું છે.




















