ગુજરાત સરકાર તરફથી ‘વંદે માતરમ’ ગીતના 150 વર્ષ પૂર્ણ થવાની ભવ્ય ઉજવણી માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ માહિતી આપતાં જણાવ્યું કે, આ ઐતિહાસિક અવસરને ધ્યાનમાં રાખીને 7 નવેમ્બરથી રાજ્યભરમાં વિશેષ કાર્યક્રમો યોજાશે.
સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમો
વાઘાણીએ જણાવ્યું કે 7 નવેમ્બરનાં રોજ સવારે 9:30 કલાકે મુખ્યમંત્રી વિધાનસભામાં ઉપસ્થિત રહી ‘વંદે માતરમ’ ગીતનું મૂળરૂપે ગાન કરશે. મુખ્યમંત્રી સચિવાલય ખાતેથી કાર્યક્રમમાં જોડાશે, જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં મંત્રીઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.
‘વંદે માતરમ@150’ ઉજવણી કરાશે
પ્રવક્તા મંત્રીએ વધુમાં જણાવ્યું કે 7 નવેમ્બરથી 26 નવેમ્બર સુધી રાજ્યભરના શાળા અને કોલેજોમાં ‘વંદે માતરમ@150’ ઉજવણી યોજાશે. આ કાર્યક્રમો દ્વારા યુવાનોમાં દેશભક્તિની ભાવના જાગૃત થાય અને રાષ્ટ્રગીત પ્રત્યે ગૌરવભાવ વિકસે તે હેતુ રાખવામાં આવ્યો છે. રાજ્ય સરકાર મુજબ, આ કાર્યક્રમો માત્ર એક ઉજવણી નહીં પરંતુ રાષ્ટ્રપ્રેમ અને એકતાનો સંદેશ આપનાર મહોત્સવ રહેશે, જેમાં સમાજના તમામ વર્ગોને જોડવાનો પ્રયાસ કરવામાં આવશે.





















