વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના ઉપલક્ષ્યમાં આજે રાજ્યના તમામ કર્મચારી મહામંડળ દ્વારા જુના સચિવાલય ખાતે આયોજીત નમો કે નામ રક્તદાન મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે શુભારંભ કરાવ્યો હતો.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ ક્ષણે કર્મચારી મહામંડળ દ્વારા નમો કે નામ રક્તદાન માટે બનાવવામાં આવેલી એપનું પણ નિરીક્ષણ કરીને તેની સરાહના કરી હતી.
રાજ્યમાં 378 થી વધુ જગ્યાએ આ ડ્રાઇવ અંતર્ગત બ્લડ ડોનેશન થનાર છે. જેના માટે નમો કે નામ રક્તદાન એપ મારફતે કર્મચારીએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ તમામ રજીસ્ટ્રેશન વખતે તેમના નજીકના બ્લડ ડોનેશન સેન્ટરને સીલેક્ટ કરીને કર્મચારીઓ બ્લડ ડોનેશન કરવા જશે.
રાજ્યમાં 1.28 લાખથી વધુ કર્મચારીઓએ નમો કે નામ રક્તદાન ડ્રાઇવ અંતર્ગત બ્લડ ડોનેશન કરાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ થયેલ ઓપરેશન સિંદૂરની સફળતાને પગલે વડાપ્રધાનના જન્મદિને મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવ દ્વારા મોટી સંખ્યામાં બ્લડ કલેક્ટ કરીને જરૂરીયાતમંદોને મદદરૂપ થવાના આશય થી આ સમગ્ર કેમ્પનું આયોજન કરાયું છે.