ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે તારીખ 9 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર સુધીના ત્રિદિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. તેઓ આજે સાંજે રાજકોટ પહોંચશે અને અહીંથી તેમના વિવિધ કાર્યક્રમોની શરૂઆત થશે. આજે સાંજે સાત વાગે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ભારતીય વાયુ સેનાના વિશેષ વિમાન મારફતે રાજકોટ નજીક આવેલા હીરાસર એરપોર્ટ પર આવી પહોંચશે. અહીં તેમના સન્માન ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે અને રાજકીય મહેમાનો દ્વારા તેમને આવકરવામાં આવશે. રાત્રિ રોકાણ માટે રાષ્ટ્રપતિ રાજકોટના સર્કિટ હાઉસ ખાતે વિશ્રામ લેશે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે ગુજરાત મુલાકાતે
અગાઉથી જાહેર થયેલા કાર્યક્રમ મુજબ 10 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રપતિ સૌપ્રથમ સોમનાથ મંદિરમાં આરતી કરશે. ત્યારબાદ તેઓ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન (સાસણ ગીર)ની મુલાકાત લેશે અને ત્યાં આદિવાસી સમુદાય સાથે વાતચીત પણ કરશે. ત્યારબાગ તેઓ હેલિકોપ્ટર મારફતે સોમનાથ પહોંચશે. 11 ઓક્ટોબરના દિવસે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારકા જઈને ભગવાન દ્વારકાધીશના મંદિરમાં આરતી અને દર્શન કરશે. બપોરના દર્શનવિધિ બાદ તેઓ જામનગર જઈને પછી વિશેષ વિમાને સાંજે 5 વાગ્યે અમદાવાદ આવશે.
ગુજરાત વિદ્યાપીઠના 71માં દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે
અમદાવાદમાં તેઓ ગુજરાત વિદ્યાપીઠના 71માં દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે અને પદવીદાનો કાર્યક્રમ પૂરું કર્યા બાદ રાત્રે દિલ્હીને પરત ફરશે. રાષ્ટ્રપતિનો આ પ્રવાસ ધાર્મિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.