અમદાવાદની સગીરાને સોશિયલ મીડિયા દ્વારા કરેલી મિત્રતા ભારે પડી છે અને બળાત્કારનો ભોગ બનવાનો વારો આવ્યો છે. યુવકે પાલડી વિસ્તારની હોટલમાં 15 વર્ષીય સગીરા પર બળાત્કાર કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે બળાત્કાર કરનાર એક આરોપીની ધરપકડ કરી છે. જ્યારે બીજા આરોપીની અટકાયતની તજવીજ હાથ ધરવામાં આવી છે.
ઇસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 15 વર્ષીય સગીરા પર બળાત્કારની ફરિયાદ નોંધાઈ હતી. સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવેલા આરોપીએ સગીરાને ભોળવીને બળાત્કાર કર્યો હતો. સમગ્ર પ્રકરણમાં એસીપી વાય. એ. ગોહિલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે ગત 22 સપ્ટેમ્બર ના રોજ પિતાએ પોતાની 15 વર્ષની સગીર દીકરી પર બે અજાણ્યા ઇસમો દ્વારા બળાત્કાર થયો હોવાની ફરિયાદ નોંધાઇ હતી. હસન અલી અને વિકાસ શેખ વિરુદ્ધ અપરણ, પોક્સો અને બળાત્કારનો ગુનો નોંધી ઇસનપુર પોલીસે તપાસ હાથ ધરી હતી.
જેમાં ઇસનપુર પોલીસે હસન અલીની બળાત્કારના ગુનામાં ધરપકડ કરી છે. જ્યારે વકાસ શેખની મદદગારીના ગુનામાં ધરપકડ કરી છે. ભોગ બનનાર સગીરા અને આરોપી એક માસ પહેલા સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવ્યા હતા. સોશિયલ મીડિયા મારફતે મોબાઈલ નંબરની બંને એ આપ લે કરી હતી. 15 દિવસ પહેલા બંને આરોપીઓ અમદાવાદ ખાતે મળ્યા હતા. મળતી માહિતી અનુસાર, 21 સપ્ટેમ્બરના રોજ પાલડી વિસ્તારમાં આવેલી હોટલમાં લઈ જઈને આરોપીએ સગીરા સાથે બળાત્કાર કર્યો હતો.
ઇસનપુર પોલીસની તપાસમાં એમ પણ બહાર આવ્યું છે કે આરોપીના મિત્ર સાથે ભોગ બનનારની બહેનપણી પણ હોટલમાં ગઈ હતી. ઇસનપુર પોલીસે આરોપીની મિત્ર અને ભોગ બનનારની બહેનપણીની પણ તપાસ હાથ ધરી છે. સગીરાની બહેનપણી અને આરોપીનો મિત્ર પણ સાથે હતા તો તેની સાથે પણ કોઈ બનાવ બન્યો છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.