અમદાવાદના સરદારનગરના એક બ્યુટીપાર્લરમાં ઘરકંકાસના કારણે પતિએ પત્ની અને સાસુ બંનેને આગ ચાંપી દીધી હતી. આ ઘટના બાદ તાત્કાલિક સારવાર માટે પત્ની અને સાસુને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારે હવે આ ઘટનાને લઈને અપડેટ આવ્યું છે કે સારવાર દરમિયાન પત્નીનું મોત નીપજ્યું છે અને સાસુની સ્થિતિ ગંભીર છે.
શું છે સમગ્ર મામલો
અમદાવાદના સરદારનગરમાં આવેલા આઝાદ ચોક પાસે બ્યૂટિપાર્લરની દુકાનમાં આગ લાગી, આગના ધુમાડા વચ્ચે બૂમો સંભળાતાં વિસ્તારમાં દોડધામ મચી હતી. લોકો ઘટના સ્થળે પહોંચ્યા બાદ જાણ થઈ કે પતિએ પત્ની અને સાસુને સળગાવ્યા છે. ઘટના બાદ તાત્કાલિક સારવાર માટે પત્ની અને સાસુને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ મામલે સરદારનગર પોલીસે ગુનો નોંધી આરોપી પતિ અશોક રાજપૂતની ધરપકડ કરી છે.
પત્ની અને સાસુને આગ ચાંપી પતિ ભાગ્યો
મળતી માહિતી અનુસાર, કુબેરનગરમાં રહેતી અને બ્યૂટિપાર્લરનું કામ કરતી પરિણીત મહિલાને પતિ અશોક રાજપૂત સાથે છેલ્લા ઘણા મહિનાઓથી માથાકૂટ ચાલી રહી હતી. મંગળવાર (23 સપ્ટેમ્બર) ની રાત્રે પતિ અશોક પત્નીના બ્યૂટિપાર્લરે આવીને ઝઘડો કરવા લાગ્યો હતો. આ સમયે પાર્લરમાં હાજર તેનાં સાસુ વચ્ચે પડતાં અશોક તેમની સાથે પણ ઝગડ્યો અને ત્રણેય વચ્ચે ઝઘડો વધુ ઉગ્ર બન્યો હતો. આ દરમિયાન અશોક જ્વલનશીલ પદાર્થ લઈને પત્ની અને સાસુ પર નાખીને આગ ચાંપીને ફરાર થઇ ગયો હતો.
આ ઘટના બાદ થોડીવારમાં જ બૂમાબૂમ થતાં કોમ્પ્લેક્સના વેપારીઓ અને આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા, પરંતુ ત્યાં સુધીમાં આરોપી અશોક ભાગી છૂટયો હતો. ત્યાર બાદ ત્યાં હાજર લોકોએ સળગી રહેલાં માતા-પુત્રી પર પાણી ફેંકીને આગને ઓલવી નાખી. ત્યાર બાદ માતા-પુત્રીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયાં હતાં.
આરોપી અશોકની ધરપકડ
બીજી બાજુ ઘટનાની જાણ થતાં સરદારનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સમગ્ર મામલે સરદારનગર પોલીસ સ્ટેશનના પીઆઇ મહિપતસિંહ ચંપાવતે જણાવ્યું હતું કે પતિએ ઘરકંકાસમાં પત્ની અને સાસુને સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ બંને બચી ગયાં છે અને હાલ સારવાર હેઠળ છે. આરોપી અશોકની પોલીસે ધરપકડ કરી છે.