પ્રજાને જીવનજરૂરી સવલતો પૂરી પાડતા વિકાસકાર્યો સરકારની પ્રાથમિકતા છે. ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર આ દિશામાં સતત પ્રયત્નશીલ છે. જે અનુસાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય સરકાર દ્વારા મહત્વની બેઠક યોજાઈ હતી.
વિશેષ ટીમની રચના કરવામાં આવી
આ બેઠકમાં લેવામાં આવેલ નિર્ણય અનુસાર, રાજ્યમાં ચોમાસા દરમિયાન ડિફેક્ટ લાયબિલિટી પિરિયડ હેઠળ બનાવાયેલા કેટલાક રસ્તાઓમાં થયેલ નુકસાનની સમીક્ષા કરવા માટે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા રાજ્ય સ્તરની વિશેષ ટીમની રચના કરવામાં આવી છે જેમાં રાજ્યની ભાવનગર, રાજકોટ, વડોદરા અને સુરત જેવી 4(ચાર) મહાનગરપાલિકાઓના રોડની કામગીરીની ચકાસણી કરવા નીચે મુજબ અધિક્ષક ઈજનેરઓના નેતૃત્વ હેઠળ 4(ચાર) વિશેષ ટીમોની રચના કરવામાં આવી છે.
તૂટેલા માર્ગોની થયેલ કામગીરીની વિગતવાર ચકાસણી હાથ ધરશે
આ ટીમ દ્વારા સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગર મહાનગરપાલિકાના વિસ્તારોમાં સ્થળ મુલાકાત લઈને, ડીફેક્ટ લાયાબીલીટી હેઠળના તૂટેલા માર્ગોની થયેલ કામગીરીની વિગતવાર ચકાસણી હાથ ધરવામાં આવશે.જે તાકીદે કાર્યા બાદ, સંબંધિત તમામ માહિતી સાથેનો અહેવાલ માન. અગ્ર સચિવને સુપરત કરવામાં આવશે. વધુમાં, આગામી સમયમાં પ્રાદેશિક કમિશ્નરોની કચેરીઓ મારફતે નગરપાલિકાના વિસ્તારોમાં કરવામાં આવેલા રસ્તા મરામતના કામોના ક્રોસ વેરીફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવશે. રાજ્યની અન્ય મહાનગરપાલિકાઓમાં પણ સ્થળ તપાસ દ્વારા માર્ગોની ગુણવત્તા અને કામગીરીની સમીક્ષા કરવામાં આવશે.




















