Makar Sankranti 2026: ગુજરાતીઓ માટે ઉત્તરાયણ એ માત્ર એક તહેવાર નથી, પરંતુ આખા વર્ષની ખુશીઓનો પ્રારંભ છે. આકાશમાં રંગબેરંગી પતંગોની ધૂમ, “કાયપો છે”ના નારા, છત પર પરિવાર અને મિત્રો સાથેની મજા અને ઉંધિયુ-જલેબીનો સ્વાદ, આ બધું જ ઉત્તરાયણને અનોખો બનાવે છે. પરંતુ આ પર્વ પાછળનું વૈજ્ઞાનિક અને ધાર્મિક મહત્વ ઘણા લોકોને ખબર નથી હોતું. ઉત્તરાયણ એટલે સૂર્યનું ઉત્તર દિશા તરફનું પ્રયાણ, જે મકરસંક્રાંતિના દિવસે શરૂ થાય છે. આ દિવસે સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે અને દિવસ લાંબા તથા રાત ટૂંકી બનવા લાગે છે. ગુજરાતમાં આ પર્વને પતંગોત્સવ તરીકે ઉજવવામાં આવે છે, જે વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ લેખમાં જાણીએ ઉત્તરાયણનો અર્થ, પતંગ ચગાવવાની પરંપરાનો ઇતિહાસ અને આ પર્વનું ધાર્મિક તથા વૈજ્ઞાનિક મહત્વ વિશે વિગતવાર.
ઉત્તરાયણ એટલે શું? જાણો વૈજ્ઞાનિક અર્થ
“ઉત્તરાયણ” શબ્દ સંસ્કૃતમાંથી આવ્યો છે – ઉત્તર + અયન = ઉત્તર તરફનું પ્રયાણ. આ દિવસે સૂર્ય પૃથ્વીની પરિક્રમામાં ઉત્તર દિશા તરફ વળે છે. વૈજ્ઞાનિક રીતે આ મકરસંક્રાંતિનો દિવસ છે, જ્યારે સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે. આનાથી ઉત્તર ગોળાર્ધમાં દિવસ લાંબા અને રાત ટૂંકી બનવા લાગે છે. વર્ષમાં બે સંક્રાંતિઓ હોય છે – મકરસંક્રાંતિ (ઉત્તરાયણ) અને કર્કસંક્રાંતિ (દક્ષિણાયન).
ઉત્તરાયણમાં પતંગ કેમ ચગાવાય છે?
પતંગ ચગાવવાની પરંપરા હજારો વર્ષ જૂની છે. ચીનમાં લગભગ 3000 વર્ષ પહેલાં પતંગની શોધ થઈ હતી, જે સિલ્કના કાપડ અને વાંસની લાકડીથી બનતી હતી. ભારતમાં પતંગનો ઉલ્લેખ ઋગ્વેદમાં સૂર્ય માટે “પતંગ” શબ્દ તરીકે મળે છે. ઉત્તરાયણે ઉત્તર દિશામાં પવન ફૂંકાય છે અને સૂર્યના કિરણો વધુ સમય મળે છે, જેનાથી શરીરમાં પોઝિટિવ ઊર્જા આવે છે. પતંગ ચગાવવાથી આ કિરણોનો લાભ મળે છે અને રોગ-દરિદ્રતા દૂર થાય છે તેવી માન્યતા છે.
પતંગ શબ્દ ક્યાંથી આવ્યો?
ઋગ્વેદમાં સૂર્યને “પતંગ” કહેવામાં આવ્યો છે. પ્રાચીન ગ્રંથો અનુસાર, સૂર્યની પૂજા કરવાથી કલ્યાણ થાય છે અને અમંગળ દૂર થાય છે. ઉત્તરાયણે પતંગ ચગાવીને સૂર્યની આગળ રહેવું શુભ માનવામાં આવે છે, જેથી પોઝિટિવિટી મળે.
ઉત્તરાયણનું ધાર્મિક મહત્વ
ધાર્મિક રીતે ઉત્તરાયણ જૂનું ત્યાગીને નવું અપનાવવાનો પર્વ છે. ગુજરાતમાં ઘઉં, બાજરી કે જુવારની છડીને ખીચડો બનાવીને બહેન-દીકરી અને અન્યને ખવડાવવામાં આવે છે, જેથી પુણ્ય મળે. ઘઉંની ધુધરી ગાયોને ખવડાવવામાં આવે છે. અન્ય પ્રાંતોમાં માલિક નોકરોને અન્ન, વસ્ત્ર અને ધન દાન કરે છે. આગલા દિવસે પશુ-પક્ષીઓને ભોજન ખવડાવવામાં આવે છે. આ દિવસે યાત્રા કરવી અનુચિત માનવામાં આવે છે, કારણ કે આ પરિવાર સાથે મિલન અને સમર્પણનો દિવસ છે.




















