ગુજરાતમાં છેલ્લા 2-3 દિવસથી ભર ઉનાળે વરસાદ થવાથી ખેડૂતો ખૂબ જ પરેશાન છે. ત્યારે હવે આ મુશ્કેલીમાં વધારો થવા જઈ રહ્યો છે. હકીકતમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં હવામાનમાં ફેરફારની શક્યતા વ્યક્ત કરી છે, જેને ધ્યાનમાં રાખીને ખેડૂતો સહિત સામાન્ય નાગરિકોએ સાવચેત રહેવાની જરૂર છે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ, આજથી જ ગુજરાતના ઘણા વિસ્તારોમાં આકાશમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. આ સ્થિતિ 30 માર્ચ સુધી યથાવત રહેવાની સંભાવના છે, જેના કારણે ગરમીમાં થોડો ઘટાડો અનુભવાઈ શકે છે. ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વાદળોની આવક વધુ જોવા મળી શકે છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, 22 માર્ચથી રાજ્યમાં પશ્ચિમી વિક્ષેપ સક્રિય બનશે. આ હવામાન પ્રણાલી 25 માર્ચ સુધી અસરકારક રહેશે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. આ વરસાદ કૃષિ માટે લાભદાયક બની શકે છે, પરંતુ કેટલીક જગ્યાએ નુકસાનની ભીતિ પણ છે.
આગળની આગાહી મુજબ, 26 માર્ચથી દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ પટ્ટામાં તેજ પવન ફૂંકાવાની શક્યતા છે. આ પવનનો સીધો પ્રભાવ આંબાના પાક પર પડી શકે છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતા વધી છે.



















