અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે, જેમાં વર્ષ 2021માં છત્તીસગઢના રાયપુરમાં બનેલી હત્યાના કેસમાં ફરાર આરોપીને ઝડપવામાં આવ્યો છે. લાંબા સમયથી ફરાર રહેલો આ આરોપી આખરે પોલીસના હાથ ચડી ગયો છે, જેના કારણે કેસમાં મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે.
મળતી માહિતી મુજબ, ઝડપાયેલ આરોપી અજય મિશ્રા મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. વર્ષ 2021 માં રાયપુરમાં બનેલી હત્યાની ઘટનામાં તે સંડોવાયેલ હતો અને ત્યારથી સતત ફરાર હતો. પોલીસે જણાવ્યું કે, આરોપીએ મહિલાની હત્યા તકિયા વડે મોઢું દબાવીને કરી હતી, જેનાથી ઘટનાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું.
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, હત્યા પાછળ ઘરેલુ અને સંપત્તિ સંબંધિત વિવાદ મુખ્ય કારણ હતો. મહિલાનો પોતાના દીકરા સાથે વારંવાર ઝગડો થતો હતો, જેના કારણે મહિલાએ પોતાના જ પુત્રને ડરાવવા માટે આરોપીને સોપારી આપી હતી. આ કામ માટે કુલ 4 લાખ રૂપિયાની સોપારી નક્કી કરવામાં આવી હતી, જેમાંથી 3 લાખ રૂપિયા ચૂકવાયા નહોતા. આ બાબતે આરોપી અને મહિલાની વચ્ચે વિવાદ વધતા આરોપીએ મહિલાની જ હત્યા કરી નાખી હતી.
હત્યાના બાદ આરોપીએ મહિલાના દાગીના અને રોકડ રકમ લઈ લીધી અને તેને પોતાની મોજશોખ માટે વાપરી હતી. બનાવ બાદ આરોપી સતત પોતાની ઓળખ છુપાવીને અલગ-અલગ જગ્યાઓ પર રહેતો હતો. ખાસ કરીને તે એવી જગ્યાઓથી દૂર રહેતો હતો, જ્યાં ઓળખ પુરાવા આપવા જરૂરી હોય.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી અગાઉ પણ અમદાવાદ આવ્યો હતો અને હાલ તે પોતાના પરિવારને મળવા માટે શહેરમાં આવ્યો હતો. આ માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચે ટ્રેકિંગ કરીને તેને ઝડપી પાડ્યો છે.



















