ગુજરાતમાં કાળઝાળ ગરમીના પ્રકોપ વચ્ચે હવામાનમાં એકાએક પલટાના સંકેતો મળી રહ્યા છે. રાજ્યના વિવિધ ભાગોમાં 31 ડિગ્રીથી વધુ તાપમાન અને અસહ્ય ઉકળાટ વચ્ચે હવે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાન પર સર્જાયેલી સાયકલોનિક સિસ્ટમને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે, જેના પરિણામે ઉત્તર ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 થી 48 કલાક દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને છૂટાછવાયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. એકતરફ તાપમાનનો પારો ઊંચો જઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ વરસાદી ઝાપટાં પડવાની શક્યતાએ ખેડૂતો અને સામાન્ય જનતામાં મિશ્ર પ્રતિસાદ જન્માવ્યો છે. ગરમીના દિવસોમાં આ માવઠું ઉકળાટમાં વધારો કરી શકે છે, જે સામાન્ય જનજીવનને અસર કરશે.
ઉત્તર ગુજરાતમાં મેઘમહેરની શક્યતા
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા મુજબ, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં આજે વરસાદી માહોલ જામી શકે છે. આ વિસ્તારોમાં હળવા વરસાદને કારણે ખેતીના પાકને ફાયદો થવાની આશા છે. વાદળછાયા વાતાવરણને કારણે સૂર્યનો તડકો સીધો નહીં લાગે, પરંતુ વાતાવરણમાં ભેજ વધવાને કારણે બફારો વધી શકે છે.
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે એલર્ટ
માત્ર ઉત્તર ગુજરાત જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં પણ હળવા વરસાદની આગાહી છે. કચ્છ જિલ્લામાં પણ વરસાદી ઝાપટાં પડી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિમાં વધારો થવાની સંભાવના હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા અથવા સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. કંડલામાં હાલ 34.2 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઊંચું તાપમાન નોંધાયું છે, જે ગરમીની તીવ્રતા દર્શાવે છે.
તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો વધારો થશે
વરસાદની આગાહી વચ્ચે હવામાન વિભાગે એક ચિંતાજનક સમાચાર પણ આપ્યા છે. આગામી ૩ દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં ૩ થી ૫ ડિગ્રીનો તોતિંગ વધારો થઈ શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં અત્યારે તાપમાન 31 ડિગ્રીની આસપાસ છે, જે વધીને 35 થી 36 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. વરસાદી ઝાપટાં બાદ તાપમાન વધવાથી લોકોએ અસહ્ય ઉકળાટ (Humid heat) નો સામનો કરવો પડશે.
શા માટે બદલાયું હવામાન?
હવામાનમાં આવેલા આ અચાનક બદલાવ પાછળ રાજસ્થાનના વિસ્તારોમાં સક્રિય થયેલી 'સાયકલોનિક અપર એર સિસ્ટમ' જવાબદાર છે. આ સિસ્ટમને કારણે અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવનો ગુજરાત તરફ આવી રહ્યા છે. આરોગ્ય નિષ્ણાતોએ સલાહ આપી છે કે, બદલાતા હવામાન અને ગરમીને કારણે ડિહાઇડ્રેશન અને વાયરલ ઇન્ફેક્શનનો ખતરો વધી શકે છે, તેથી લોકોએ પૂરતા પ્રમાણમાં પાણી પીવું અને સીધા તડકાથી બચવું જોઈએ.



















