Home Gujarat Victory Of Gujarat Fishermen

ગુજરાતના માછીમારોની જીત : ડીઝલમાં ભાવ વધારો કેન્દ્ર સરકારે પાછો ખેંચ્યો, જૂના રાહત દરે જ મળશે જથ્થો

ગુજરાતના માછીમારોની જીત
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 21, 2026, 01:14 PM IST

ગુજરાતના દરિયાકાંઠે વસતા માછીમાર ભાઈઓના આર્થિક હિતોના રક્ષણ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા મત્સ્યોદ્યોગ મંત્રી જીતુ વાઘાણીના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે ભારત સરકારમાં અસરકારક રજૂઆત કરીને માછીમારી બોટના ડીઝલના ભાવ વધારા અંગે મહત્વનો ઉકેલ લાવ્યા છે.

ગુજરાત સરકારના મત્સ્ય સંઘ - GFCCA દ્વારા માછીમારોને ડિસ્કાઉન્ટ ભાવે ડીઝલ મળી રહે તે માટે ભારત પેટ્રોલિયમ (BPCL) સાથે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. જોકે, તાજેતરમાં ભારત પેટ્રોલિયમ દ્વારા માછીમારો માટેના ડીઝલના ભાવમાં લિટર દીઠ રૂ. 22.43 નો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

આ ગંભીર બાબતને ધ્યાને લઈ મંત્રીઓ, ધારાસભ્યઓ, સ્થાનિક આગેવાનો અને વિવિધ માછીમારી સંસ્થાઓ દ્વારા રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. વિષયની ગંભીરતાને ધ્યાને લઈને મત્સ્યોદ્યોગ મંત્રી જીતુ વાઘાણીએ મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારને આ અંગે હસ્તક્ષેપ કરવા રજૂઆત કરી હતી. 

મંત્રીએ ભારપૂર્વક રજૂઆત કરી હતી કે, જે રીતે રાજ્ય માર્ગ પરિવહન નિગમને ભાવ વધારામાંથી મુક્તિ આપવામાં આવી છે, તે જ રીતે મત્સ્યોદ્યોગ ક્ષેત્રને પણ 'સ્પેશિયલ એક્સેપ્શન' ગણીને રાહત આપવી જોઈએ. માછીમારોને 'કન્ઝ્યુમર સેગમેન્ટ'ને બદલે રિટેલ ગ્રાહકોની સમકક્ષ ગણવા મંત્રીએ આગ્રહ કર્યો હતો. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે ગુજરાતના માછીમારોની આ વાજબી રજૂઆતને સ્વીકારી છે. જેના પરિણામે, કેન્દ્ર સરકારે ભારત પેટ્રોલિયમને માછીમારોની બોટમાં વપરાતા ડીઝલના ભાવમાં કરાયેલો રૂ. 22.43નો વધારો પાછો ખેંચવા સ્પષ્ટ સૂચના આપી છે. જેથી રાજ્યના માછીમારોને હવે અગાઉ નક્કી થયેલા રાહત દરે જ ડીઝલ પ્રાપ્ત થશે.

આ સફળ રજૂઆત અને ત્વરિત નિર્ણય બદલ મત્સ્યોદ્યોગ મંત્રી જીતુ વાઘાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પૂરીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે અને જણાવ્યું છે કે, "રાજ્ય સરકાર હંમેશા માછીમારોના કલ્યાણ માટે કટિબદ્ધ છે અને આગળ પણ રહેશે."

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now