મહેસાણા જિલ્લાના ધરોઈ રેન્જ વિસ્તારમાં શિડ્યુલ–1માં આવતાં આરક્ષિત પ્રાણી શાહુડીના શિકાર મામલે વન વિભાગે કડક કાર્યવાહી કરી છે. તારંગાના જંગલ વિસ્તારમાંથી વન વિભાગની ટીમે બે શિકારીઓને ઝડપી પાડ્યા હતા, જેમણે શાહુડીનો શિકાર કર્યો હોવાનું તપાસમાં ખુલ્યું છે.
મોજશોખ ખાતર શાહુડીનો શિકાર કર્યો હોવાનો ઘટસ્ફોટ
પકડાયેલા બંને આરોપીઓ ભીમપુર ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. વન વિભાગે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરી તેમને દબોચ્યા હતા. પૂછપરછ દરમિયાન બંને શખ્સોએ અંધશ્રદ્ધા અથવા મોજશોખ ખાતર શાહુડીનો શિકાર કર્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે.
આરોપીઓને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી
આ કેસમાં આરોપીઓને સતલાસણા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે બંને આરોપીઓને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી ફટકારી છે. આરોપીઓના જામીન નામંજૂર થતા તેમને વડનગર સબ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.
વન વિભાગે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે શિડ્યુલ–1માં આવતાં આરક્ષિત પ્રાણીઓના શિકાર સામે કોઈપણ પ્રકારની ઢીલાશ રાખવામાં આવશે નહીં. અંધશ્રદ્ધા કે મોજશોખના નામે કરવામાં આવતી શિકારની પ્રવૃત્તિઓ સામે વન વિભાગની લાલ આંખ યથાવત રહેશે અને આવનાર સમયમાં પણ આવી કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.




















