ગુજરાતમાં સામાજિક પરિવર્તનનો એક વધુ મહત્વપૂર્ણ સંદેશ સામે આવ્યો છે. પાટીદાર, ઠાકોર, ચૌધરી અને રબારી સમાજ બાદ હવે વિશ્વકર્મા સમાજમાં પણ પરિવર્તનનો પવન ફૂંકાયો છે. સમાજમાં વધતી જઈ રહેલી ‘એક બાળકની માનસિકતા’ અને સમાજમાં ઘટતી વસ્તીને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે અને તેના નિવારણ માટે સકારાત્મક પહેલ કરવામાં આવી છે.
‘એક બાળકની માનસિકતા’
વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશન દ્વારા મોઢેરા રોડ પર રવિવારે એક વિશાળ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાસંમેલનમાં પાટણવાડા અને બાવીસી પંચાલ સમાજના મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. સમ્મેલનમાં સમાજના આગેવાનોએ સમાજની વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરી અને ‘એક બાળકની માનસિકતા’ને સમાજ માટે જોખમી ગણાવીને તેના સામે લાલબત્તી ધરી હતી.
બાવીસી પંચાલ સમાજ દ્વારા મોટી જાહેરાત
મહાસંમેલન દરમિયાન પાટણવાડા અને બાવીસી પંચાલ સમાજના આગેવાનો દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી કે, જે દંપતી બીજું સંતાન લાવશે તેમને સમાજ તરફથી 25 હજાર રૂપિયાનું પ્રોત્સાહનરૂપ ચેક આપવામાં આવશે. આ નિર્ણયનો મુખ્ય હેતુ સમાજમાં ઘટતી જતી વસ્તી પર નિયંત્રણ લાવવાનો અને પરિવારમાં સંતુલન જાળવવાનો છે.
સંજયભાઈ પંચાલે શું કહ્યું?
આ પ્રસંગે સમાજના આગેવાન સંજયભાઈ પંચાલે જણાવ્યું હતું કે, પ્રથમ બાળકની સુરક્ષા અને તેના ભવિષ્ય માટે પણ બીજું બાળક જરૂરી છે. સંતાનને ભાઈ કે બહેનનો સાથ અને સહકાર મળે તેમજ માતા-પિતાનું ભવિષ્ય સુરક્ષિત રહે તે માટે વસ્તી સંતુલન અત્યંત જરૂરી છે. વિશ્વકર્મા સમાજની આ પહેલને સમાજમાં સકારાત્મક બદલાવ લાવતી મહત્વપૂર્ણ કડમ તરીકે જોવામાં આવી રહી છે.




















