અમદાવાદથી ગુવાહાટી જતી IndiGo ની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાતા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સવારે 8:20 વાગ્યે ટેક-ઓફ થનારી ફ્લાઈટ 6E-6441, ટેકનિકલ ખામીને કારણે રદ કરવામાં આવી હતી. મુસાફરોને લગભગ અઢી કલાક સુધી ફ્લાઇટમાં બેસી રાખવામાં આવ્યા હતા.
લખનઉથી દિલ્હી જતી IndiGo ફ્લાઇટમાં પણ ખામી સર્જાઇ હતી
આજે જ લખનઉથી દિલ્હી જતી IndiGo એરલાઇન્સની ફ્લાઇટ ટેકઓફ દરમિયાન રનવે પર જ અટકી ગઈ. સદનસીબે કેપ્ટનની સતર્કતાથી 151 મુસાફરોના જીવ બચી ગયા.
ડિમ્પલ યાદવ પણ હતા વિમાનમાં
આ ફ્લાઇટમાં સમાજવાદી પાર્ટીના સાંસદ અને પાર્ટી પ્રમુખ અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ પણ મુસાફરી કરી રહ્યા હતા. ઘટનાની જાણ થતાં રાજકીય વર્તુળોમાં પણ ચિંતા ફેલાઈ હતી.
શું થયું રનવે પર?
માહિતી અનુસાર, વિમાને રનવે પર પૂરતી ગતિ પકડી લીધી હતી, પરંતુ ટેકઓફ નહીં કરી શક્યું. એ સમયે કેપ્ટને તાત્કાલિક નિર્ણય લઈ વિમાનને રનવે પૂરો થાય તે પહેલાં જ રોકી દીધું. જો થોડું પણ મોડું થયું હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકતી.
મુસાફરોમાં ગભરાટ, પરંતુ તમામ સુરક્ષિત
અચાનક થયેલી આ ઘટનાથી મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. છતાં પણ બધા મુસાફરો સુરક્ષિત રહ્યા. બાદમાં IndiGo એરલાઇન્સે મુસાફરોને બીજી ફ્લાઇટ દ્વારા દિલ્હી મોકલી દીધા.