Surendranagar News : સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કંપાઉન્ડમાં આવેલી દબાણ હટાવ કચેરીમાં એક લારીધારકે ફિનાઈલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે, જેના કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ, મનપા તંત્રની દબાણ હટાવો ટીમ દ્વારા લારીધારકની લારી તેમજ તેમાંનો માલસામાન લઈ લેવામાં આવતા ભારે માનસિક તણાવમાં આવી ગયો હતો અને આ ઘટનાથી વ્યથિત થઈ તેણે કચેરીમાં જ ફિનાઈલ પી લીધું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
લારીધારકે ફિનાઈલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો
લારીધારકે ફિનાઈલ પીધાની જાણ થતાં તરત જ મનપા કર્મચારીઓ અને હાજર લોકોએ તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી હતી અને તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ ડોક્ટરે લારીધારકની તબિયત હાલ સ્થિર હોવાનું જણાવ્યું છે, જેથી પરિજનોમાં રાહતનો માહોલ જોવા મળ્યો છે.
સમગ્ર ઘટના બની ચર્ચાનો વિષય
આ ઘટનાને લઈને એવી ચર્ચાઓ પણ ચાલી રહી છે કે મનપાના કેટલાક કર્મચારીઓ દ્વારા ભોગ બનનાર લારીધારક સાથે બંધ બારણે સમજાવટ કરી દેવામાં આવી હતી. સમગ્ર બનાવે દબાણ હટાવની કાર્યવાહી દરમિયાન નાના વેપારીઓ અને લારીધારકોની સ્થિતિ અંગે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. હાલ ઘટનાને લઈ વધુ વિગતો મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે.




















