કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં મનરેગા યોજનાનું નામ બદલીને વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામિણ (VB G RAMJI) રાખવામાં આવ્યું છે. આ નિર્ણય અંગે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં તેમણે કેન્દ્ર સરકારના નિર્ણયને ઐતિહાસિક અને જનહિતકારી ગણાવ્યો હતો.
'125 દિવસની રોજગાર ગેરંટી...'
જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, 'NDAની સરકાર દેશની 140 કરોડ જનતાની સુખાકારી માટે સતત કામ કરી રહી છે. તેમણે કહ્યું કે VB G RAMJI યોજના ગાંધી વિચાર સાથે જોડાયેલી યોજના છે, જેમાં અગાઉ 100 દિવસના રોજગારની ગેરંટી આપવામાં આવતી હતી, જ્યારે હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકાર દ્વારા 125 દિવસની રોજગાર ગેરંટી આપવામાં આવી રહી છે, જે ગ્રામિણ વિસ્તારો માટે મહત્વપૂર્ણ પગલું છે.
'... અંગ્રેજો અને બાદમાં કોંગ્રેસે આ દેશને લૂંટ્યો'
તેમણે વધુમાં જણાવ્યું હતું કે 'મહાત્મા ગાંધીના મુખે ભગવાન રામનું નામ હતું, ત્યારે કોંગ્રેસને રામ નામ સાથે કેમ વાંધો છે તે પ્રશ્ન પણ તેમણે ઉઠાવ્યો હતો. જગદીશ વિશ્વકર્માએ આક્ષેપ કરતા કહ્યું કે 'પહેલા મુઘલો, પછી અંગ્રેજો અને બાદમાં કોંગ્રેસે આ દેશને લૂંટ્યો છે.
''ડો. મનમોહનસિંહ અને સોનિયા ગાંધીએ મનરેગા નામ રાખ્યું હતું'
રોજગાર યોજનાઓના ઇતિહાસ અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે '1980માં ઈન્દિરા ગાંધીએ વિવિધ રોજગાર યોજનાઓને ભેગી કરીને એક યોજના શરૂ કરી હતી. ત્યારબાદ રાજીવ ગાંધીએ તેનું નામ જવાહર રોજગાર યોજના રાખ્યું હતું. ત્યારપછી ડો. મનમોહનસિંહ અને સોનિયા ગાંધીએ જવાહરલાલ નહેરુનું નામ બદલીને મનરેગા રાખી દીધું હતું'
'કોંગ્રેસ ભ્રષ્ટાચારની ફેક્ટરી...'
કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે કોંગ્રેસ ભ્રષ્ટાચારની ફેક્ટરી હતી અને હાલ તેને બચાવવા માટે આંદોલન ચાલે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ યોજના અંગે સંસદમાં ચર્ચા ચાલી રહી હતી ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગેરહાજર હતા, જે કોંગ્રેસની ગંભીરતા દર્શાવે છે'.




















