MP Mayank Nayak : કેન્દ્રની મોદી સરકાર દ્વારા તાજેતરમાં સંસદમાં પસાર કરાયેલા ‘વિકસિત ભારત – રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ)’ બિલને લઈને મહેસાણા ભાજપ દ્વારા લોકજાગૃતિ ફેલાવવાના હેતુથી પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી આ પત્રકાર પરિષદમાં રાજ્યસભા સાંસદ મયંક નાયક અને જિલ્લા પ્રમુખ ગીરીશ રાજગોરે બિલને ગ્રામીણ ભારત માટે ક્રાંતિકારી અને સમયોચિત ગણાવ્યું હતું. સાથે જ આ બિલ અંગે ભ્રામક પ્રચાર કરવા બદલ કોંગ્રેસ પર કડક ટીકા પણ કરી હતી.
'યોજનાનું આધુનિક, વિસ્તૃત અને વધુ સશક્ત સ્વરૂપ છે'
કેન્દ્ર સરકારના ગત સત્રમાં મંજૂર થયેલું ‘વિકસિત ભારત – રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ)’ એટલે કે ‘જી-રામ-જી’ (G-RAM-G) બિલ હાલ દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આ બિલની મુખ્ય જોગવાઈઓ અને લાભો લોકો સુધી પહોંચે તે હેતુથી મહેસાણા સ્થિત ‘કમલમ’ કાર્યાલય ખાતે ભાજપ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યસભા સાંસદ મયંક નાયક અને જિલ્લા પ્રમુખ ગીરીશ રાજગોરે જણાવ્યું હતું કે, આ નવો કાયદો જૂની મનરેગા યોજનાનું આધુનિક, વિસ્તૃત અને વધુ સશક્ત સ્વરૂપ છે.
'2047 સુધી વિકસિત ભારતનું લક્ષ્ય...'
સાંસદ મયંક નાયકે જણાવ્યું હતું કે, '2047 સુધી વિકસિત ભારતનું લક્ષ્ય હાંસલ કરવા માટે આ બિલ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે'. તેમણે કહ્યું કે 'આ યોજના અંતર્ગત હવે ગ્રામીણ વિસ્તારોના લોકોને 100 દિવસના બદલે 125 દિવસની રોજગારીની ગેરંટી આપવામાં આવશે. ઉપરાંત, માત્ર પરંપરાગત મજૂરી કામો સુધી સીમિત ન રહી, કૌશલ્ય વર્ધન, ડેરી ઉદ્યોગ, પશુપાલન અને ફૂડ પ્રોસેસિંગ જેવા નવા ક્ષેત્રોને પણ રોજગાર મિશનમાં સામેલ કરવામાં આવ્યા છે, જેથી ગામડાં પણ વિકાસની દોડમાં શહેરો સાથે કદમ મિલાવી શકે'.
'વિપક્ષ આ જનહિતકારી બિલનો ખોટો વિરોધ કરે...'
આ બિલને લઈને રાજકીય માહોલ પણ ગરમાયો છે. સાંસદ મયંક નાયકે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, 'જેમ અગાઉ રામ નામનો વિરોધ કરવામાં આવ્યો હતો, તે જ રીતે આજે વિપક્ષ આ જનહિતકારી બિલનો ખોટો વિરોધ કરી લોકોની સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે. જિલ્લા પ્રમુખ ગીરીશ રાજગોરેએ પણ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં તૈયાર થયેલું આ બિલ દેશના અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તે માટે ભાજપ સંગઠન દ્વારા વ્યાપક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.




















