Morari Bapu statement : બગદાણા નવનીત બાલધિયા હુમલા કેસને લઈને સમાધાનની ચર્ચાઓ વચ્ચે હવે ખુદ મોરારીબાપુએ સમગ્ર મામલે સ્પષ્ટતા કરી છે. મોરારીબાપુએ સમાધાન કરાવ્યાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે ચર્ચા ઊભી થઈ હતી. ખાસ કરીને બગદાણા ગામના નવનીત બાલધિયા પર થયેલા હુમલાના મામલે કોળી સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, તેવા સમયે આ તસવીરો વધુ ચર્ચાનો વિષય બની હતી.
વાયરલ થયેલી તસવીરો ચર્ચાનો વિષય બન્યો
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી તસવીરોમાં એવું દર્શાવવામાં આવી રહ્યું હતું કે, નવનીત બાલધિયા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેની બાજુમાં જયરાજ હાજર છે તેમજ મોરારીબાપુ સમગ્ર કેસમાં સમાધાન કરાવી રહ્યા છે. આ તસવીરોને કારણે લોકોમાં એવી માન્યતા ફેલાઈ હતી કે મોરારીબાપુએ આ મામલમાં સમાધાન કરાવ્યું છે.
મોરારીબાપુએ ખુલાસો કર્યો
આ વાયરલ તસવીરો અને ચર્ચાઓ અંગે હવે ખુદ મોરારીબાપુએ ખુલાસો કર્યો છે. બિહારમાં ચાલી રહેલી રામકથાના પ્રસંગે વ્યાસપીઠ પરથી મોરારીબાપુએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, છેલ્લા નવ દિવસથી તેઓ બિહારમાં સતત કથા કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, “હું અહીં નવ દિવસથી કથા વાંચી રહ્યો છું, ત્યારે કોઈએ મારા ફોટા બતાવીને એવું દર્શાવ્યું છે કે હું હોસ્પિટલમાં જઈને ખબર અંતર પૂછું છું અને કોઈનું સમાધાન કરાવી રહ્યો છું.”
'દુનિયા શું કરી રહી છે?'
મોરારીબાપુએ વધુમાં જણાવ્યું કે, સોશિયલ મીડિયામાં એવી પોસ્ટ કરવામાં આવી છે કે તેઓ હોસ્પિટલમાં બેસીને સમાધાન કરાવી રહ્યા છે, પરંતુ હકીકતમાં તેઓ બિહારમાં હાજર છે. તેમણે કહ્યું, “દુનિયા શું કરી રહી છે? હું અહીં બેઠો છું અને મારા ફોટા બનાવીને મને ક્યાંક બીજે દર્શાવવામાં આવી રહ્યો છે. હોસ્પિટલમાં ગયો હોઉં તે પ્રકારનો ફોટો વાયરલ કરવામાં આવ્યો છે, જ્યારે હકીકતમાં હું નવ દિવસથી અહીં બિહારમાં જ છું.”




















