Chhotu Vasava social media posts : ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાના કોંગ્રેસમાં જોડાયા બાદ આદિવાસી રાજકારણમાં ફરી એક વખત ગરમાવો જોવા મળી રહ્યો છે. ગઈકાલે મહેશ વસાવાએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો, જેના પગલે પિતા અને દિગ્ગજ 'આદિવાસી સુપ્રીમો' ગણાતા નેતા છોટુ વસાવા નારાજ થયા હોવાનું સામે આવ્યું છે. મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી બાદ પિતા-પુત્ર વચ્ચેનો તણાવ ફરી સપાટી પર આવ્યો છે અને આ મુદ્દો રાજકીય તેમજ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.
'સત્તા માટે જે કદી પણ પોતાનો કબીલો બદલી શકે એ...'
છોટુ વસાવાએ આ મામલે સોશિયલ મીડિયા પર એક કડક અને વ્યંગાત્મક પોસ્ટ કરી છે. તેમણે લખ્યું છે કે, “સત્તા માટે જે કદી પણ પોતાનો કબીલો બદલી શકે, એ નાસમજ સત્તા માટે પક્ષ બદલે એમાં નવાઈ શું?” છોટુ વસાવાની આ પોસ્ટને મહેશ વસાવાના પક્ષ પલટા સાથે જોડીને જોવામાં આવી રહી છે અને તેને લઈને વિવિધ અર્થઘટન કરવામાં આવી રહ્યા છે.
પિતા-પુત્ર વચ્ચે રાજકીય મતભેદ ફરી ખુલ્લા પડ્યા!
ઉલ્લેખનીય છે કે આ પહેલી વખત નથી જ્યારે પિતા-પુત્ર વચ્ચે રાજકીય મતભેદ ખુલ્લા પડ્યા હોય. અગાઉ મહેશ વસાવા ભાજપમાં જોડાયા ત્યારે પણ છોટુ વસાવા સાથે તેમના સંબંધોમાં તણાવ જોવા મળ્યો હતો. હવે કોંગ્રેસમાં જોડાણ બાદ જૂના વિવાદો ફરી જીવંત બન્યા છે. મહેશ વસાવાના રાજકીય પગલાં અને છોટુ વસાવાની પ્રતિક્રિયાએ આદિવાસી રાજકારણમાં ફરી એક વખત હલચલ મચાવી છે.




















