Sugar Factory Scam Case : ગણેશ શુગરના પૂર્વ ચેરમેન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોલા સામે લગાવવામાં આવેલા આશરે રૂ.85 કરોડના કથિત કૌભાંડના આક્ષેપ મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. આ મામલે ન્યાયમૂર્તિ નિખિલ એસ. કારિયેલની ખંડપીઠે બંને પક્ષોની દલીલો સાંભળીને લગભગ ચાર વર્ષ બાદ સંદીપ માંગરોલાને રેગ્યુલર જામીન મંજૂર કર્યા છે. સાથે સાથે, હાઇકોર્ટ દ્વારા ટ્રાયલ કોર્ટને 18 મહિનાની અંદર કેસ પૂર્ણ કરવા સ્પષ્ટ અને સમયબદ્ધ હુકમ આપવામાં આવ્યો છે.
'ન્યાયમાં અનાવશ્યક વિલંબ ન થવો જોઈએ'
આ ચુકાદા અંગે સંદીપ માંગરોલાએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, “સત્યનો હંમેશા વિજય થાય છે અને આજનો ચુકાદો તેની શરૂઆત છે. ‘સત્ય પરેશાન થાય છે, પરાજીત નહીં.’ સંદીપ માંગરોલાએ વધુમાં જણાવ્યું હતું કે, “દુર્ભાગ્યજનક રીતે સરકાર દ્વારા ભાજપના કાર્યકર્તાઓની કસ્ટોડિયન કમિટી મારફતે થયેલી ગેરવહીવટના કારણે સંસ્થા તેમજ હજારો ખેડૂતોના હિતને ગંભીર નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. આ મુદ્દાઓમાં પણ અંતે ન્યાય થશે અને કુદરત પોતાનો નિર્ણય આપશે, તેવી મને સંપૂર્ણ ખાતરી છે”
આ કેસ છેલ્લા ચાર વર્ષથી વિચારાધીન હતો
ઉલ્લેખનીય છે કે આ કેસ છેલ્લા ચાર વર્ષથી વિચારાધીન હતો અને આરોપી તરફથી નિયમિત જામીન માટે અરજી કરવામાં આવી હતી, જેને હાઇકોર્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. હવે ટ્રાયલ કોર્ટ દ્વારા નિર્ધારિત સમયમર્યાદામાં કેસનો અંતિમ નિકાલ કરવામાં આવશે.





















